/connect-gujarat/media/post_banners/ca8f36e3c6ba0dad1eb48332281438d155292319553640108e21537e4eb93381.jpg)
ગીર સોમનાથ જિલ્લાના તાલાલાનાં મુક્તિધામમાં મૃતકોના અંતિમ સંસ્કાર માટેના લાકડાનો જથ્થો ખલાસ થઈ ગયો હોય જેથી મૃતકોની અર્થિ લઈ સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે આવતા મૃતકોના પરિવારજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે, ત્યારે નગરપાલિકાના મનસ્વી શાસકોની રોષ સાથે સૌ ટીકા કરી રહ્યા છે. તલાલા શહેરમાં હિરણ નદીના કાંઠે વિશાળ સ્મશાન ગૃહ આવેલુ છે. આ સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે કાયમી વિપુલ જથ્થામાં લાકડાનો જથ્થો રાખવામાં આવે છે. પરંતુ છેલ્લા 15 દિવસથી લાકડા સાવ ખલાસ થઈ ગયા છે. છતાં પણ પાલિકાના સત્તાવાળા તરફથી લાકડા મંગાવવા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે છેલ્લા 15 દિવસ દરમિયાન મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કાર કરવા આવતા મૃતકોના પરિવારજનોને ભારે મુશ્કેલીમાં મુકાઈ જવું પડ્યું છે.
આ મુદ્દે સ્મશાનગૃહમાં ફરજ બજાવતા નગરપાલિકાના ક્લાર્ક રમેશ ઉદેશના જણાવ્યા અનુસાર, ત્રણ માસ પૂર્વે આવેલા વરસાદી પુરના કારણે 30 ટન જેટલા લાકડાં તણાઈ ગયા હતા. બાદમાં અગ્નિસંસ્કારમાં જે નાના મોટા બંને લાકડાં વાપરવા જોઈએ તેના બદલે નાના લાકડાં વધુ પ્રમાણમાં વપરાઈ જતા લાકડા ખૂટી પડ્યા છે. પાલિકા તંત્રની લાપરવાહીને ઉજાગર કરતા સ્મશાનગૃહ શાખાના ક્લાર્ક રમેશભાઈ ઉદેશે એવું સ્પષ્ટ જણાવ્યું હતું કે, પાલિકામાં કાયમી ચીફ ઓફિસર નથી માટે લાકડાં ખરીદ કરવાની પ્રક્રિયામાં વિલંબ થયો છે. સ્મશાન ગૃહ માટે લાકડા ખરીદવાની કાર્યવાહી કરવામાં આવેલી જેના અંતર્ગત લાકડા આપવા માટે ઘણા ટેન્ડરો પણ આવ્યા છે. પરંતુ ટેન્ડરો ખોલવા માટે શાસકો પાસે સમય નથી. પરિણામે પાલિકાના શાસકોની બેદરકારીને કારણે સ્મશાનમાં લાકડાનો જથ્થો સાવ ખૂટી ગયો છે.