Connect Gujarat
ગુજરાત

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્યે આવેલા દરિયામાં પગ બોળવા જતાં પહેલા યાત્રિકો 100 વાર વિચારજો, જાણો શું છે સમગ્ર મામલો..!

પ્રભાસ પાટણ શહેરની ગંદી ગટરનું પાણી સીધું જ ચોપાટીમાં મુક્ત થઈ રહ્યું છે. યાત્રિકો આ સિસ્ટમથી નારાજ

X

પ્રભાસ-પાટણની ગટરનું પાણી સોમનાથના દરિયામાં થતું મુક્ત

ગટરનું ગંદુ પાણી ચોપાટીમાં ન છોડવામાં આવે તેવી માંગ ઉઠી

ભૂગર્ભ ગટર યોજનામાં 3 તબક્કાની કામગીરી પૂર્ણ : પાલિકા તંત્ર

પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ નજીક આવેલ ચોપાટી પર દરિયામાં પગ બોળવા જતા પહેલા યાત્રિકો 100 વાર વિચાર કરજો.. કારણકે, સમગ્ર પ્રભાસ પાટણ શહેરની ગંદી ગટરનું પાણી સીધું જ ચોપાટીમાં મુક્ત થઈ રહ્યું છે. યાત્રિકો આ સિસ્ટમથી નારાજ થઈ સોમનાથ ટ્રસ્ટ અધ્યક્ષ નરેન્દ્ર મોદી અને ટ્રસ્ટી અમિત શાહને અને પાલીકાને વિનંતી કરી રહ્યા છે કે, ગંદુ પાણી ચોપાટીમાં ન છોડવામાં આવે.

ગુજરાત રાજ્ય દ્વારા રાજ્યના તીર્થ સ્થળો અને ટુરિસ્ટર્સ સ્થળો વિકસાવવા માટે અથાગ પ્રયાસો કરાઈ રહ્યા છે. જેમાં પણ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થને વિકસાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર ભારે જહેમત ઉઠાવી રહેલ છે, અને વિકાસ ભારે માત્રામાં થઈ રહ્યો પણ છે. પરંતુ જેમાં મોટીચૂક હોય તેવું યાત્રિકો માની રહ્યા છે. સોમનાથ મંદિર નજીક વિશાળ ચોપાટી આવેલી છે.

જેમાં તાજેતરમાં જ વિશાળ વોક-વે તૈયાર કરાયો છે. રૂપિયા 20 કરોડથી વધુના ખર્ચે સાગર દર્શનથી છેક ત્રિવેણી સંગમ સુધી બનાવાયો છે. પરંતુ ચોપાટીમાં પ્રભાસ પાટણ આખા શહેરનું ગટરનું ગંદુ પાણી ઠલવાય રહ્યું છે. જાણે નાની સુની નદી સમૂ વહેણ ભારે ગંદકી અને દુર્ગંધ સાથે ચોપાટીમાં મળી રહ્યું છે.

જોકે, સોમનાથ તીર્થ પ્રવાસનનું સર્કિટ બન્યું છે. જેમાં દ્વારકા, સોમનાથ, સાસણગીર, દીવ સહિતના સ્થળોનું મુખ્ય મથક સોમનાથ મનાય છે. અહીં બારેમાસ દેશ-વિદેશના ભારે ભાવિકો સોમનાથ જરૂર આવે છે. તો સમુદ્રથી દૂર રહેનારા લોકો સોમનાથની ચોપાટી પર દરિયાનો ઘૂઘવાટ અને મોજા જોઈ અને ભાવવિભોર બને છે.

અહીં અનેક દુર્ઘટનામાં અનેક યાત્રિકોએ દરિયામાં ડૂબી જવાથી જીવ ગુમાવ્યા છે. ચોપાટી પર દરિયામાં ન જવા કલેકટરનું જાહેરનામું પણ બહાર પડેલું હોય. આમ છતાં ભારે માત્રામાં યાત્રિકો પરિવાર સાથે દરિયાના મોજા માણવાનું ચૂકતા નથી, ત્યારે અજાણ્યા યાત્રિકોને ક્યાં ખબર હોય છે કે, જે પાણીમાં તે મોજ માણી રહ્યા છે, તે તો પ્રભાસ પાટણ શહેરની ગટરના પાણી સાથે જોડાયેલું પાણી છે.

અરબી સમુદ્રના ઉછળતા મોજા સાથે શહેરની ગટરનું પાણી ભળી રહ્યાનું યાત્રિકોને ધ્યાને આવે છે, ત્યારે યાત્રિકોમાં ભારે કચવાટ ફેલાઈ રહ્યો છે. યાત્રિકો વિનમ્રભાવે જણાવી રહ્યા છે કે, જે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ આપણા વડાપ્રધાન મોદી છે, અને ટ્રસ્ટી અમિત શાહ છે, ત્યારે આ ચૂક કેમ..? તાકીદે આ બાબતે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તે જરૂરી બન્યું છે.

આ બાબતે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુંડિયાએ જણાવ્યુ હતું કે, વેરાવળ, પાટણ અને જોડીયા શહેર પૌરાણિક છે, અને આ શહેરોનું પાણી અનાદિકાળથી દરિયામાં જ જાય છે. પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા ભૂગર્ભ ગટર યોજના મળતા વેરાવળ પાટણ શહેરની 3 તબક્કાની કામગીરી પૂર્ણ થઈ છે. અને હવે તમામ ઘર ધરાવતા લોકોના ગટર કનેક્શન ટૂંક સમયમાં ભૂગર્ભ ગટર સાથે જોડાશે, અને દરિયામાં આજ સુધી જતું ગટરનું પાણી અટકાવી શકાશે.

Next Story