જંગલ કુદરત તરફથી મનુષ્યને મળેલી મહામૂલી ભેટ છે. આ મહામૂલી ભેટને જાળવવા માટે ગુજરાત સરકાર ભરપુર પ્રયાસો કરી રહી છે. જાપાનના વનસ્પતિ શાસ્ત્રી ડો. અકિરા મિયાવાંકીએ ગાઢ જંગલો ઉભા કરવા માટે અપનાવેલી પદ્ધતિ થકી રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર જંગલ ઊભું કરવાના પ્રયાસ કરી રહી છે. ચાલો, જાણીએ ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા આવા પ્રયાસો વિશે...
આપ જે લીલુંછમ જંગલ જોઈ રહ્યા છો, તે કુદરતી જંગલ નથી. પણ માણસે સર્જેલું જંગલ છે. કચ્છની સૂકીભઠ્ઠ ધરા પર છેલ્લા 4 વર્ષમાં આ જંગલ બન્યું છે. આ જંગલ મિયાવાંકી જંગલના નામે ઓળખાય છે. ગુજરાત સરકારની પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ડો. રાધાક્રિશ્નન નાયરના પરિશ્રમથી આ જંગલ બન્યું છે. દેશમાં 115થી વધુ મિયાવાંકી જંગલ ઉભા કરનારા ડો. નાયરે કચ્છમાં વિશ્વનું સૌથી મોટું મિયાવાંકી જંગલ ઉભુ કર્યું છે.
આ મિયાવાંકી જંગલ ભારતના સૌથી મોટા મેમોરિયલ “સ્મૃતિવન”નો હિસ્સો છે. સ્મૃતિવન 470 એકરમાં ફેલાયેલું છે. વર્ષ 2001ના કચ્છ ભૂકંપના મૃતકોની યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરાયું છે. અહીં 50 જેટલા ચેકડેમનું નિર્માણ કરાયું છે, જેનાથી લાખો લીટર વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. જો તમે થોડી ઝીણવટભરી નજરે જોશો તો ખ્યાલ આવશે કે, અહીં ડેમ પર 2001ના ભૂકંપના મૃતકોના નામ કોતરાયેલા છે. જોકે, આ જંગલમાં સાડા છ લાખથી વધુ વૃક્ષો છે, જેમાં 117 જેટલી વિવિધ વનસ્પતિઓની વેરાયટી છે.
આ જંગલ કચ્છના ફેફસામાં માત્ર શુદ્ધ હવાનો સંચાર નથી કરતું, પણ ચંદુલાલ જેવા એક સમયના રિક્ષા ડ્રાઈવર માટે આજીવિકાનો આધાર પણ બન્યું છે. ગુજરાત સરકારની સહાયથી ડો.નાયરે દક્ષિણ ગુજરાતના નારગોલમાં પણ દરિયાકાંઠા પરનું વિશ્વનું સૌથી મોટું મિયાવાંકી જંગલ ઉભુ કર્યું છે. જેનાથી અહીં ખારાશ ઘટી છે અને વિપુલ પ્રમાણમાં જીવ-સૃષ્ટિ વિકસી છે. આ જંગલથી તાપમાન ઘટે છે, જીવ-સૃષ્ટિ વિકસે છે અને સસ્ટેઈનેબલ ફ્યુચરની આશા ઉભી થાય છે. આજે દર વર્ષે ગરમીનો પારો ઉંચો જઈ રહ્યો છે ત્યારે આ પ્રકારના પર્યાવરણ સંરક્ષણના ઉપાયો એ જ આપણા માટે આશાનું કિરણ છે.