ચોમાસાની સિઝન નજીક આવી રહી છે, ત્યારે કચ્છ જિલ્લામાં વરસાદી ઋતુમાં મચ્છરજન્ય રોગચાળાનો ફેલાવો વધે નહિ તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને આ બાબતે સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.
કચ્છ જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી ચોમાસા દરમ્યાન મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. અનરાધાર વરસાદની હેલીથી ગામડાઓમાં અને શહેરોમાં ઠેક ઠેકાણે પાણી ભરાઈ જાય છે. પરિણામે મચ્છરની ઉતપતિ થવાથી મેલેરિયા, ડેન્ગ્યુ અને ટાઇફોઇડ જેવા રોગોનો લોકો શિકાર બનતા હોય છે. કોરોના મહામારી વચ્ચે મચ્છરજન્ય રોગચાળાથી બચવું પણ જરૂરી છે.
કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢકે જણાવ્યું હતું કે, વરસાદના સમયે નાની નાની બાબતોમાં રખાતી કાળજી આપણને મચ્છરજન્ય રોગચાળાથી બચાવે છે. આપને ઘરની આસપાસ પાણીના ખાબોચિયા ભરાવા ન દઈએ, ઘરમાં પણ પાત્રોમાં પાણીનો વધુ સમય સુધી સંગ્રહ ન થાય તેની કાળજી લઈએ, મચ્છરની ઉતપતિ ન થવા દઈએ, વરસાદી પાણીનો નિકાલ કરીએ તે સહિતની કામગીરી કરવા ભાર મુક્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા જુન મહિનાને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં જુદા જુદા સ્થળોએ સર્વેલન્સ અને જાગૃતિની કામગીરી કરવામાં આવી રહી છે.