Connect Gujarat
ગુજરાત

કચ્છ: સગાબાપે 9 વર્ષના દિવ્યાંગ પુત્રની કરી હત્યા,કારણ જાણી ચોંકી જશો !

કચ્છ: સગાબાપે 9 વર્ષના દિવ્યાંગ પુત્રની કરી હત્યા,કારણ જાણી ચોંકી જશો !
X

કચ્છનાં મુન્દ્રામાં પિતાએ જ 9 વર્ષીય પુત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે, આર્થિક સંકડામણ વચ્ચે 9 વર્ષીય દિવ્યાંગ પુત્રની સારવારનો ખર્ચ પિતા કાઢી શક્યો ન હતો જેથી નાછૂટકે ગળું દબાવી તેની હત્યા કરી દેવાઈ છે.

ચકચારી કેસની જો વાત કરીએ તો મુંદરામાં નવ વર્ષના વિકલાંગ પુત્રની સગા બાપે હત્યા કરી છે. મુંદરાના જલારામનગરમાં રહેતાં મૂળ નેપાળના વતની અને અહીં લાંબા સમયથી સ્થાયી થયેલાં હરીશ કામીના નવ વર્ષના પુત્ર દિનેશનું સોમવારે બપોરે અગમ્ય કારણોસર મૃત્યુ નીપજ્યું હતું.

પુત્રના મોત બાદ હરીશે મુંદરામાં રહેતાં અન્ય પરિવારજનોને જાણ કરી હતી. મુંદરા રહેતાં અને સિક્યોરીટી ગાર્ડ તરીકે કામ કરતાં હરીશના 55 વર્ષિય કાકા નયનસિંગ લક્ષ્મણસિંગ કામી પણ તાબડતોબ ભત્રીજાના ઘરે દોડી આવ્યાં હતા.સૌએ દિનેશનું કુદરતી મોત નીપજ્યું હોવાનું માની અંતિમ વિધિ પર કરી દીધી હતી પરંતુ મોડી સાંજે દિનેશની છ વર્ષની બહેને કાકા નયનસિંગ આગળ ઘટસ્ફોટ કર્યો હતો કે મારા પપ્પાએ ભાઈને મારી નાખ્યો છે.

નાનકડી બાળાએ કરેલાં ઘટસ્ફોટથી સહુ કોઈ હચમચી ઉઠ્યાં હતા. સ્વજનોએ હરીશને તેના દીકરાનું મોત કેવી રીતે નીપજ્યું તે અંગે અણિયાળા સવાલો પૂછવા માંડતા તે ગોળ-ગોળ જવાબો આપવા માંડ્યો હતો. જેથી તેના પર સૌ નો શક દ્રઢ થયો હતો. છેવટે કાકા નયનસિંગે અન્ય સગા-સંબંધીઓ સાથે મુંદરા પોલીસ મથકે આવી બનાવ અંગે જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.જેમાં સરકારી પંચોની હાજરીમાં લાશ કઢાઈ હતી જેને પીએમ રીપોર્ટ માટે જામનગર મોકલવામાં આવી હતી જેના રિપોર્ટ પરથી તારણ આવ્યું કે પિતાએ જ પુત્રની હત્યા કરી છે આર્થિક સંકડામણના કારણે આ ઘટના બની હોવાનું ભુજ ડીવાયએસપી જે.એન.પંચાલે જણાવ્યું હતું.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story