નાગરિકો માટે પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયા વધુ પારદર્શક, સરળ અને સુગમ બનાવવા માટે રાજ્ય પોલીસ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે બિનજરૂરી રીતે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં.
પાસપોર્ટ વેરિફિકેશનની વહીવટી પ્રક્રિયામાં કેટલાક મોટા સુધારા કરવામાં આવ્યા છે, જેમાં પોલીસ વેરિફિકેશન દરમિયાન હવે માત્ર અરજદારની નાગરિકતા અને તેનો કોઈ ગુનાઈત પૂર્વ ઈતિહાસ છે કે નહીં, તે બાબતની જ ચકાસણી કરવાની રહેશે. પોલીસે પાસપોર્ટ અરજદારોના રહેઠાણના સરનામાની અલગથી ચકાસણી કરવાની કોઈ જરૂરિયાત રહેશે નહીં. આ પ્રક્રિયા દરમિયાન અરજદારને રૂબરૂ મળવાની કે તેની સહી લેવાની પણ આવશ્યકતા નથી.
જે કિસ્સામાં પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય અથવા વધુ ખરાઈ કરવાની જરૂરિયાત લાગે, તેવા અપવાદરૂપ સંજોગોમાં જ પોલીસ કર્મચારીએ અરજદારના રહેઠાણ સ્થળની મુલાકાત લેવાની રહેશે. જો કે, આવા કિસ્સામાં પણ અરજદારને પોલીસ સ્ટેશન રૂબરૂ બોલાવી શકાશે નહીં.
રાજ્યના પોલીસ મહાનિર્દેશક જ્ઞાનેન્દ્રસિંહ મલિકે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને આ નવા દિશા-નિર્દેશોનું કડકપણે પાલન કરવા આદેશ આપ્યો છે. સાથોસાથ, તેમણે રાજ્યના તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આ સુધારેલી સરળ પ્રક્રિયાથી માહિતગાર થાય અને કોઈ પણ બિનજરૂરી પ્રક્રિયા કે ગેરસમજમાં ન પડે.
