• પાંડેસરામાં નવજાત બાળકી ત્યજી દેવાઈ

  • ખાડી નજીક કચરામાંથી મળી બાળકી

  • સ્થાનિક મહિલાઓએ  બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડી

  • તબીબે બાળકીને મૃત જાહેર કરી

  • પોલીસે શરૂ કરી તપાસ  

સુરતના પાંડેસરા વિસ્તારમાં ખાડી પાસે કચરામાંથી એક નવજાત બાળકી સ્થાનિક મહિલાઓને મળી આવી હતી,અને આ બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવતા તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી.

સુરતના પાંડેસરા વિસ્તારમાં ખાડી પાસેના કચરાના ઢગલામાંથી બાળક રડવાનો અવાજ આવતો હતો ,તેમજ પક્ષીઓનો જમાવડો પણ જોવા મળ્યો હતો.જે ઘટના સ્થાનિક મહિલાઓના ધ્યાનમાં આવતા કચરાના ઢગલા પાસે જઈને તપાસ કરતા ચોંકી ઉઠ્યા હતા,કોઈ નિષ્ઠુર માતા કે કુંવારી માતા દ્વારા આ નવજાત બાળકીને જન્મ આપીને ત્યજી દેવામાં આવી હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે,અને નિષ્ઠુર માતા પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. સ્થાનિક મહિલાઓ દ્વારા બાળકીને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઇ જવામાં આવી હતી.જોકે હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી.ઘટના અંગે પોલીસ દ્વારા જરૂરી તપાસ શરૂ કરવામાં આવી હતી.