સુરત જીલ્લાની માંગરોળ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ગણપતસિંહ વસાવાએ પોતાના સમર્થકો સાથે રેલી યોજી પ્રાંત કચેરીએ ઉમેદવારી નોંધાવી હતી. ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરાતા જ સુરત જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

સુરતની ૧૫૬-માંગરોળ વિધાનસભા બેઠક પર ભાજપે વધુ એકવાર સરકારના પૂર્વ સિનિયર કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાને ટિકિટ આપી મેદાને ઉતાર્યા છે, ત્યારે આજરોજ ગણપત વસાવાએ મોસાલી ચોકડીથી માંગરોળ સુધી રેલી યોજી હતી. જેમાં ભાજપના કાર્યકરો અને હોદેદારો હાજર રહ્યા હતા. તેઓએ રેલી સ્વરૂપે માંગરોળ મામલતદાર કચેરી ખાતે પહોચી ફોર્મ ભર્યું હતું. આ સાથે જ 60 હજાર મતોની લીડથી તેઓએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.