સુરત શહેરમાં પશુપાલકો સાથે પોલીસે કરેલા ગેરવર્તન મામલે સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી સેવા સદન કચેરી ખાતે સમસ્ત માલધારી સમાજ દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

સુરત શહેરમાં ઘર આંગણે બાંધેલ પશુઓને બળજબરી પૂર્વક ડબ્બે પૂરવા, મહિલા અને દીકરીઓ સાથે પોલીસનું ગેરવર્તન અને પશુઓના વાડાઓ તોડી પાડવા સહિતના વિવિધ મુદ્દે સુરેન્દ્રનગર જીલ્લાના માલધારી સમાજમાં રોષ ફેલાયો છે, ત્યારે લીંબડી સેવા સદન કચેરી ખાતે સમસ્ત માલધારી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લીંબડી સેવા સદન કચેરી ખાતે માલધારી સમાજે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં પોલીસ દ્વારા અવારનવાર ખોટા કેસો કરી માલધારી સમાજને હેરાન પરેશાન કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે, ત્યારે હવે માલધારી સમાજને સરકાર દ્વારા ન્યાય આપવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં ભાજપના વિરોધમાં મતદાન કરવાની પણ માલધારી સમાજે ચીમકી ઉચ્ચારી હતી.