આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક, આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે તા. 9 ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે રાજ્યભરમાં વસતા આદિવાસી સમાજના લોકોએ આજરોજ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી હતી.
વર્ષ 1994માં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી, 9 ઓગષ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આદિવાસી સમુદાયોના લોકો, આદિવાસી સંગઠનો વિશ્વભરમાં સામૂહિક રીતે આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરે છે, ત્યારે વડોદરા શહેરના આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બાઈક રેલી તેમજ સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના વુડા સર્કલ નજીક રાત્રી બજારથી નીકળી સોમા તળાવ ચાર રસ્તા સુધી પહોચી હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન આદિવાસી સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દેશભરમાં વસતા આદિવાસી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં પણ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત શહેરના રિંગરોડ પર ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર કરી ઉમરા પાર્ટી પ્લોટ સુધી ભવ્ય રેલી યોજાય હતી. આ રેલીમાં આદિવાસી સમુદાયના યુવકોએ પરંપરાગત પહેરાવ અને આદિવાસી સંસ્કૃતિની ઝાંખી રજૂ કરી હતી. ઉપરાંત સમાજને શૈક્ષણિક અને આર્થિક રીતે આગળ લઈ જવા સંકલ્પો સાથે જય આદિવાસીના નારા લગાવ્યા હતા.
નવસારી જિલ્લાના વાંસદા ખાતે રાજ્યકક્ષાના મંત્રી કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળમાં ઉત્કર્ષ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ તેમજ આદિવાસી સમાજના વિવિધ જ્ઞાતિના શ્રેષ્ઠીઓને સન્માનીત કરી સરકારની વિવિધ યોજનાઓના લાભ એનાયત કરાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ ભાજપ સરકાર દ્વારા આદિવાસીઓ માટે કરેલા કામોની વાતો કરી હતી. આ સાથે જ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વિવિધ રંગારંગ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લાના રાધનપુર-સાંતલપુરના સમી હારીજ તાલુકાના આદિવાસી સમાજના લોકો દ્વારા વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. રાધનપુર ખાતે આવેલ ઇન્ડિયન રેડક્રોસ ભવનથી ગાંધી ચોક સુધી આદિવાસી સમાજના લોકોએ પરંપરાગત વેસ ધારણ કરી ભવ્ય ગૌરવ યાત્રા યોજી હતી. આ પ્રસંગે આદિવાસી સમાજના પ્રમુખ હરજી ધોનાજી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170