અગ્નિ-5ના સફળ પરીક્ષણથી અકળાયું ચીન, કહ્યું- અમે કોઈથી ડરતા નથી
ભારતની સ્વદેશી બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-5ના સફળ પરીક્ષણથી ચીન સ્તબ્ધ થઈ ગયું છે. ડ્રેગન આને સંરક્ષણ ક્ષેત્રે ભારતની મોટી ઉપલબ્ધિ માની રહ્યો છે, પરંતુ સાથે જ તે એ પણ કહી રહ્યો છે કે તે કોઈ દેશ કે તેના હથિયારોથી ડરતો નથી. ચીનની નારાજગીનો અંદાજ તેના તાજેતરના નિવેદન પરથી લગાવી શકાય છે, જેમાં અરુણાચલ પ્રદેશને લઈને પણ વાહિયાત વાતો કહેવામાં આવી રહી છે.સોમવારે અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું અને ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ (ICBM) ધરાવતા અગ્રણી દેશોમાં પોતાનો સમાવેશ કર્યો.
આ મિસાઈલ મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેકનોલોજીથી સજ્જ છે. દેશની આ સિદ્ધિને પશ્ચિમી મીડિયાએ ચીન અને પાકિસ્તાન માટે ચેતવણી ગણાવી છે. ચીન આ વાત પચાવી શકતું નથી.ગ્લોબલ ટાઈમ્સમાં પ્રકાશિત થયેલા સમાચારમાં કહેવામાં આવ્યું છે કે ભારતે અગ્નિ-5 મિસાઈલનું પરીક્ષણ કર્યું છે, જેની રેન્જ 5 હજાર કિમી સુધી છે. ચીનના નિષ્ણાતોએ તેને આક્રમક ગણાવ્યું છે. તેમાં એવું પણ લખવામાં આવ્યું છે કે અગ્નિ-5નું સફળ પરીક્ષણ સૂચવે છે કે ભારતે લાંબા અંતરના શસ્ત્રોના ક્ષેત્રમાં નવી સિદ્ધિ હાંસલ કરી છે. સિંઘુઆ યુનિવર્સિટીમાં નેશનલ સ્ટ્રેટેજી ઇન્સ્ટિટ્યૂટના રિસર્ચ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર કિઆન ફેંગે કહ્યું કે પશ્ચિમી મીડિયા ચીનને ભારતનો કાલ્પનિક દુશ્મન માને છે. એટલા માટે ભારતનો ઉદ્દેશ્ય ચીન પર મિસાઈલ કવરેજ હોવાનું કહેવાય છે.