ભરૂચ જિલ્લામાં વરસેલા મુશળધાર વરસાદના પગલે 39,000 હેક્ટર જમીનમાં ઉભા પાકને નુકસાન પહોંચ્યુ છે ત્યારે ખેડૂતો સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે
ગુજરાત, સમાચાર, Featured,
July 26, 2024 · 1 min read
ભરૂચ જિલ્લામાં વરસેલા મુશળધાર વરસાદના પગલે 39,000 હેક્ટર જમીનમાં ઉભા પાકને નુકસાન પહોંચ્યુ છે ત્યારે ખેડૂતો સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે
ભરૂચ જિલ્લામાં જુલાઈ માસમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં વરસેલા ભારે વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
ભરૂચ જિલ્લાના ભરૂચ,અંકલેશ્વર,હાંસોટ,વાલીયા, ઝઘડિયા, નેત્રંગ, જંબુસર, આમોદ અને વાગરા પંથકમાં ખેડૂતો દ્વારા ખેતીના વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ ધોધમાર વરસાદના કારણે ખેતરો જાણે તળાવ બની ગયા હતા અને ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.કોટન કિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં કપાસના પાકને સૌથી વધુ નુકશાન પહોંચ્યું હોવાનો અંદાજ છે.વરસાદ વરસતા ખેડૂતોએ કપાસનું વાવેતર કરી દીધું હતું પરંતુ અનરાધાર વરસાદના કારણે ખેતીનો મહામુલો પાક બોળાય ગયો છે ત્યારે ખેડૂતો સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે
આ તરફ ભરૂચ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા વરસાદ બાદ નુકસાની અંગેનો સર્વે કરાવવામાં આવ્યો હતો જેમાં ભરૂચ જિલ્લાના 9 તાલુકાની 1,57,000 હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જે પૈકી 39,000 હેક્ટર જમીનમાં પાણી ભરાતા ખેતીના પાકને નુકસાન પહોંચ્યું છે સર્વેનો આ રિપોર્ટ રાજ્ય સરકાર સુધી મોકલવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં સરકાર દ્વારા ખેડૂતોને સહાયની જાહેરાત કરવામાં આવશે