ભરૂચ શહેરમાં વિઘ્નહર્તા દેવના આગમનના વધામણાં સમયે ગણેશ મંડળ દ્વારા ડીજે સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જોકે સમય મર્યાદા પૂર્ણ થતા પોલીસે શોભાયાત્રા બંધ કરાવતા મામલો ગરમાયો હતો,અને લોકટોળુ પોલીસ મથકે પહોંચ્યું હતું.
શ્રાવણ માસ તેના મધ્યાહને પહોંચ્યો છે,ત્યારે ભાદરવા સુદ ચોથથી વિઘ્નહર્તા દેવના પર્વની શરૂઆત થશે, ગણેશ મંડળો દ્વારા ગણેશજીના આગમનની તૈયારી પણ શરુ કરવામાં આવી છે,અને વાજતે ગાજતે દુંદાળા દેવને આવકાર આપી રહ્યા છે,ત્યારે જૂના ભરૂચ કાચલી પીઠના ગણેશ મંડળ દ્વારા ગણેશજીના આગમનની ડીજે સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી,જોકે નિશ્ચિત સમય મર્યાદા પૂર્ણ થઇ જતા ડીજેના ઘોંઘાટ સામે પોલીસે લાલ આંખ કરી હતી,અને શોભાયાત્રા બંધ કરાવતા ગણેશ મંડળમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો,અને ગણેશજીની પ્રતિમા સાથે લોકટોળું ભરૂચ A ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યું હતું.અને ત્યાં લોકટોળાએ હલ્લો મચાવ્યો હતો.જોકે પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે તહેવાર અને તેની ઉજવણીની ગરિમાને જાળવવા માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે પણ જરૂરી છે,અને સૌ કોઈએ તેનું પાલન કરીને વિઘ્ન રહિત તહેવારની ઉજવણી કરવી એ પણ ધર્મ ભક્તિ જ છે.
