
ભરૂચ: આમોદના જુના દાદાપોર ગામે ઢાઢર નદીમાં મગરનો આતંક,એક વ્યક્તિને ખેંચી જતા શોધખોળ શરૂ
જાફરપરા ગામના રહેવાસી પોતાની સાસરી બોજાદરા ગામે આવ્યા હતા અને નદી પાર કરવા માટે પાણીમાં ઉતર્યા તે દરમિયાન મગરના હુમલામાં સપડાતા મગર તેમને ખેંચી ગયો ગુજરાત | ભરૂચ | સમાચાર
ભરૂચના જંબુસર તાલુકાના જાફરપરા ગામના રહેવાસી કિશનભાઈ રાઠોડ ઢાઢર નદી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ પોતાની સાસરી બોજાદરા ગામે આવ્યા હતા અને નદી પાર કરવા માટે પાણીમાં ઉતર્યા હતા. તે દરમિયાન અચાનક મગરના હુમલામાં સપડાતા મગર તેમને ખેંચી ગયો હતો.
આ સમગ્ર ઘટનાને બોજાદરા ગામના રહીશોએ પોતાની આંખે જોતા તરત જ આસપાસના લોકોને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ બોજાદરા અને દાદાપોર ગામના લોકો મોટી સંખ્યામાં નદી કિનારે દોડી આવ્યા હતા.સ્થાનિક લોકો અને બચાવ ટીમ દ્વારા બોટની મદદથી કિશનભાઈના મૃતદેહની શોધખોળ હાથ ધરાઈ છે.
જોકે કલાકો વીતી ગયા છતાં મૃતદેહ મળી આવ્યો નથી, જેને કારણે લોકો નદીના કિનારે અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ ચાલુ રાખી રહ્યા છે.આ બનાવને પગલે વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
