-
શુક્લતીર્થ નજીક રેતી લીઝ વિસ્તારમાં હત્યાની ઘટના
-
ઝારખંડના રહેવાસી 21 વર્ષીય અફરોઝ અન્સારીનું મોત
-
શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર
-
હત્યા કે, આત્મહત્યા તે અંગે અનેક તર્ક-વિતર્કો ઉભા થયા
-
હત્યાની આશંકા સાથે નબીપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી
ભરૂચ જિલ્લાના શુક્લતીર્થ નજીક રેતી લીઝ વિસ્તારમાં એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે નબીપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના શુક્લતીર્થ નજીક નદી કિનારે આવેલ રેતી લીઝ વિસ્તારમાં ઝારખંડના રહેવાસી 21 વર્ષીય અફરોઝ અન્સારીનો JCBના બકેટ નીચેથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. તો બીજી તરફ, આ ઘટનાના પગલે આત્મહત્યા કે, હત્યા તે અંગે અનેક તર્ક-વિતર્કો ઉભા થયા છે. બનાવની જાણ થતાં જ નબીપુર પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માતે મોત નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મૃતકના ભાઈ વકીલ અન્સારીએ પોતાના ભાઈની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરી પોલીસ સમક્ષ રજૂઆત કરી છે. આ સાથે જ આરોપીઓને વહેલીતકે ઝડપી કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવી છે, ત્યારે હાલ તો નબીપુર પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવી અફરોઝ અન્સારીનું મૃત્યુ કઈ પરિસ્થિતિમાં થયું તે દિશામાં તપાસનો દોર શરૂ કર્યો છે.
