અંકલેશ્વર ભરૂચ રોડ પર ભૂતમામાની દેરી નજીક વરસાદી કાંસમાંથી મગર પાંજરે પુરાયો છે.વન વિભાગ દ્વારા મગરને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મુકવાની તજવીજ હાથ ધરાય છે.

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેના મુખ્ય માર્ગ નજીકથી મગર ઝડપાતા લોકોમાં ભારે ચર્ચા જોવા મળી હતી. ભરૂચ-અંકલેશ્વર રોડ પર છેલ્લા કેટલાક દિવસોથી વારંવાર મગર નજરે ચઢતો હતો.મુખ્ય માર્ગને અડીને જ મગર દેખાતો હોવાથી વાહનચાલકો પણ પોતાના વાહનો ઉભા રાખીને મગરને જોવા માટે એકત્ર થતા હતા. જેના કારણે અકસ્માતનો ભય પણ સર્જાયો હતો.મગરની હાજરી અંગે જાણ થતાં વન વિભાગ દ્વારા તેને પકડવા માટે ભૂતમામાની દેરી પાસે વરસાદી પાણીની કાંસ નજીક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આખરે મગર પાંજરામાં કેદ થતાં વન વિભાગે તેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.મગર ઝડપાઈ જતાં સ્થાનિકો અને વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. હવે વન વિભાગ દ્વારા મગરને યોગ્ય અને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.