ભરૂચ તવરા ગામની સરકારી જમીન મામલે ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી જાહેર હેતુ માટે જમીન અનામત રાખવાની માંગ કરી છે

ભરૂચ તાલુકાના તવરા ગામમાં સરકારી જમીનને લઈને વિવાદ સામે આવ્યો છે. રેવન્યુ સર્વે નંબર 118 પૈકીની જમીન અંગે અક્ષર પુરુષોત્તમ સંસ્થા દ્વારા રી-ગ્રાન્ટની કાર્યવાહી સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જમીન સરકાર હસ્તક રાખી જાહેર ઉપયોગ માટે અનામત રાખવાની માંગ કરી છે.આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તવરા ગામની રેવન્યુ સર્વે નંબર 118 પૈકીની જમીન અંગે અક્ષર પુરુષોત્તમ સંસ્થા દ્વારા રી-ગ્રાન્ટની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે, જેને લઈને ગ્રામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ જમીનનો ઇતિહાસ અને અગાઉના સરકારી હુકમોને ધ્યાનમાં લેવામાં આવે તો જમીનને સરકારી હસ્તક રાખવાની જરૂરિયાત છે. સાથે જ મહેસૂલી રેકોર્ડમાં જરૂરી સુધારા કરવાની પણ માંગ કરવામાં આવી છે.ગ્રામજનોએ વધુમાં જણાવ્યું છે કે તવરા અને નવા તવરા ગામની સંયુક્ત વસ્તી અંદાજે 10 હજારથી વધુ છે. ગામમાં વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને રમતગમતનું મેદાન, પ્રાથમિક શાળા માટેની સુવિધાઓ, લાઇબ્રેરી, આંગણવાડી, કોમ્યુનિટી હોલ, પીવાના પાણીની સુવિધા તેમજ પશુઓ માટેની જગ્યાની જરૂરિયાત છે.આથી ગ્રામજનોની માંગ છે કે જમીન કોઈ સંસ્થાને આપવાને બદલે જાહેર હિત અને ગ્રામજનોના ઉપયોગ માટે સરકારી હસ્તક જ રાખવામાં આવે. સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે.