અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી રાસાયણિક વસાહતોની આસપાસ રહેણાંક અને વ્યાપારી વિસ્તારોના વધતા વિકાસને ધ્યાનમાં રાખીને ઓછામાં ઓછા 500 મીટરનો ‘નો-મેન્સ લેન્ડ’ અથવા સલામતી બફર ઝોન જાળવવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ એન. કે. નાવડીયા દ્વારા રાજ્ય સરકારના અર્બન ડેવલપમેન્ટ વિભાગ સમક્ષ કરવામાં આવેલી રજૂઆતમાં જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (GDCR) નક્કી કરતી વખતે રાસાયણિક ઉદ્યોગોની આસપાસ વસતા લોકોની સલામતીને પ્રાથમિકતા આપવાની માંગ કરવામાં આવી છે.રજૂઆતમાં ભોપાલ ગેસ દુર્ઘટના જેવી ઔદ્યોગિક હોનારતોમાંથી બોધ લઈ, ખાસ કરીને ગીચ વસ્તી ધરાવતા કેમિકલ ઔદ્યોગિક વિસ્તારોમાં આગ, ગેસ લીકેજ કે ઝેરી રસાયણોના પ્રસાર જેવી સંભવિત પરિસ્થિતિઓ સામે આગોતરી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત પર ભાર મૂકાયો છે. અંકલેશ્વરની વિવિધ પર્યાવરણ મંજૂરી સંબંધિત દસ્તાવેજોમાં પણ 500 મીટરના વિસ્તારમાં આવેલા આસપાસના વિસ્તારોને જોખમ મૂલ્યાંકનના ભાગરૂપે ધ્યાનમાં લેવામાં આવ્યા છે. રજૂઆતની મુખ્ય માંગણીઓ પર નજર કરીએ તો

દરેક નિયુક્ત રાસાયણિક ઔદ્યોગિક વસાહતની આસપાસ ઓછામાં ઓછું 500 મીટરનું અંતર ‘નો-મેન્સ લેન્ડ’ અથવા સલામતી બફર ઝોન તરીકે જાળવવામાં આવે, નવા રહેણાંક-વાણિજ્યિક બાંધકામ પર નિયંત્રણ રાખવામાં આવે અને પ્લોટ વિભાજન અને બિલ્ડિંગ કંટ્રોલ લાઇનની સમીક્ષા કરવામાં આવે એવી માંગ કરાય છે.