કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના આગમન પછી અચાનક જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓએ આળસ ખંખેરી છે. શહેરના શાક માર્કેટ, બર્ધન ચોકના મુખ્ય માર્ગો પરથી રેંકડી-પથારા હટાવમાં આવ્યા હતા, ત્યારે કેટલાક રેંકડીધારકોનો માલ સામાન પણ ઝપ્ત કરવામા આવ્યો હતો.

ઓમીક્રોન કોરોનાનો ખતરનાક ગણાતો કેસ જામનગરમાં નોંધાતા જ મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. શાક માર્કેટ, બર્ધન ચોક વિસ્તારમાં રેંકડી પથારાવાળાઓનો માલ-સામાન કબજે કરીને માર્ગ ખુલ્લો કરવવામાં આવ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોવાથી આ પગલાં લેવામાં આવ્યા હતા. જામનગરમાં ઓમીક્રોન વાઇરસ ધરાવતા કોરોનાનો એક કેસ નોંધાતા જ સંબંધિત તંત્ર હરકતમાં આવ્યું હતું. આગમચેતી રૂપે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવી આવી રહ્યા છે. શહેરના બર્ધન ચોક અને શાક માર્કેટમાં લોકોની બેકાબૂ ભીડ રહેતી હોવાથી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળે છે. આથી કોરોના વાઇરસ વધુ ફેલાવવાની શક્યતા હોવાથી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, એસ્ટેટ શાખાના રાજભા ચાવડા સહિતની ટીમ દ્વારા રેંકડી અને પથારવાળાઓને દૂર ખસેડવામાં આવ્યા હતા.