મહારાષ્ટ્રના મહાવિકાસ અઘાડી ગઠબંધન આગામી સમયમાં તૂટી શકે છે. શરદ પવારની વાતથી રાજનીતિમાં નવી ચર્ચાને વેગ મળ્યો છે. વાતો તો એવી પણ ચાલી રહી છે કે શરદ પવારની પાર્ટી એનસીપી ટૂંક સમયમાં ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ સાથેનો છેડો ફાડી શકે છે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવારે મોટું નિવેદન આપ્યું છે.
શરદ પવારે કહ્યું હતું કે, “આજે આપણે મહા વિકાસ આઘાડી સાથે છીએ. પરંતુ 2024ની ચૂંટણીમાં તેઓ સાથે રહેશે કે નહીં, તેના વિશે હાલ કંઇ કહી શકાય તેમ નથી. શરદ પવારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રમાં તેમના ભત્રીજા અજિત પવારના ભાજપમાં જોડાવાની ચર્ચા ચાલી રહી છે. શરદ પવાર અમરાવતીમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા.
આ દરમિયાન, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું મહા વિકાસ આઘાડી 2024 માં મહારાષ્ટ્રમાં એક સાથે ચૂંટણી લડશે. જવાબમાં પવારે કહ્યું કે આજે અમે મહા વિકાસ આઘાડીનો ભાગ છીએ, અને અમે સાથે મળીને કામ કરવા માંગીએ છીએ. પરંતુ રાજકારણમાં હંમેશાં એકલી ઇચ્છા પૂરતી હોતી નથી. સીટ-શેરિંગ, કોઈ સમસ્યા છે કે નહીં, તેની ચર્ચા હજી સુધી થઈ નથી. તો હું તમને આ વિશે કેવી રીતે કહી શકું?
