-
હાંસોટના કંટીયાજાળમાં અવિરત પ્રજ્વલિત શિક્ષણની જ્યોત
-
પ્રો. હિંમત પટેલ બન્યા અનેક વિદ્યાર્થીઓના સાચા માર્ગદર્શક
-
વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટેના અનેક પ્રયત્ન
-
વિદ્યાર્થીઓને જીવનમૂલ્યો-સંસ્કારોથી સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ
-
વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવવા મેળવે છે માર્ગદર્શન
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કંટીયાજાળ ગામના પ્રો. હિંમત પટેલ દ્વારા ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, આજે અનેક વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવવા માટે તેઓનું માર્ગદર્શન મેળવી રહ્યા છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કંટીયાજાળ નામના સામાન્ય ગામથી પ્રસ્થાન કરનાર પ્રો. હિંમત પટેલ આજે શિક્ષણ ક્ષેત્રે સમર્પણ, સંઘર્ષ અને સફળતાનું જીવંત પ્રતિક બની ઉભા રહ્યા છે. સામાન્ય પરિવારમાં જન્મેલા હિંમતભાઈએ બાળપણથી જ શિક્ષણ પ્રત્યેની લગન અને મહેનતના બળે પોતાના જીવનનો માર્ગ નિર્ધારિત કર્યો હતો. તેઓ નિવૃતમય જીવનમાં પણ અનેક વિદ્યાર્થીઓના માર્ગદર્શક બની રહ્યા છે.
પ્રાથમિક શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર હિંમત પટેલે ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો દીવો પ્રગટાવ્યો. વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તક પૂરતું જ નહીં, પરંતુ જીવનમૂલ્યો અને સંસ્કારોથી પણ સમૃદ્ધ બનાવવાનો તેમનો પ્રયાસ સતત રહ્યો. ગામડાના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે તેમણે અનેક પ્રયત્નો કર્યા અને પોતાના કાર્યથી આજે અનેક વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવવા માટે અભ્યાસ કરી રહ્યા છે.
તેઓ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપતા ત્યારે પણ તેમણે હજારો વિદ્યાર્થીઓને જવાબદારી સાથે ભણતર માટે આર્થિક મદદ અને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી છે. આજે પણ તેઓ નિવૃતમય જીવન દરમિયાન મળતી રૂ. 1 લાખ જેટલી માતબર રકમને દર મહિને અલગ અલગ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાછળ ખર્ચી રહ્યા છે. પ્રો. હિંમત પટેલનો જીવનપ્રવાસ એ દર્શાવે છે કે, સંકલ્પ, મહેનત અને સેવાભાવના હોય તો કોઈપણ વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં ઊંચાઈઓ સર કરી શકે છે.
