અમદાવાદ : કૃષ્ણનગરમાં યુવકને જાહેરમાં મોતને ઘાટ ઉતાર્યો, 7થી વધુ લોકો માર મારતા હોવાનો વિડીયો વાઇરલ

New Update
અમદાવાદ : કૃષ્ણનગરમાં યુવકને જાહેરમાં મોતને ઘાટ ઉતાર્યો, 7થી વધુ લોકો માર મારતા હોવાનો વિડીયો વાઇરલ

અમદાવાદ શહેરનું કૃષ્ણનગર પોલીસ મથક એટલે વિવાદોનું ઘર. તાજેતરમાં રાત્રિ કરફ્યુ દરમ્યાન મારામારીનો બનાવ સામે આવ્યો હતો. જોકે 7થી 8 જેટલા લોકો એક યુવકને લાકડી વડે મારી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયો હતો. જેમાં યુવકનું ગંભીર ઇજાના પગલે સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસે 3 લોકો વિરુદ્ધ મારામારીનો ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ શહેરમાં રાત્રિ કરફ્યુ દરમ્યાન કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ વિદ્યાવિહાર સ્કૂલ નજીક જાહેર માર્ગ પર હિતેશ શાહ ઉર્ફે હિતેશ તલવાર અને તેના પુત્ર નિશુ શાહે ધ્રુવરાજસિંહ ભાટી નામના યુવકને લાકડી અને ધોકા વડે માર માર્યો હતો, ત્યારે મારામારીના બનાવમાં ગંભીર ઇજાના પગલે સારવાર વેળા ધ્રુવરાજસિંહનું મોત નીપજ્યું હતું, ત્યારે સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસ મથકના પી.આઈ. જે.આર.પટેલે હત્યાના પ્રયાસ જેવી ગંભીર ઘટના હોવા છતાં મૃતક ધ્રુવરાજસિંહના પરિવારની સામાન્ય મારામારીની ફરિયાદ દાખલ કરી માત્ર 3 લોકો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો. જોકે, બનાવ સમયે વાઇરલ થયેલા વિડીયોએ પોલીસની ભેદી કામગીરીની પોલ ખોલી નાખી છે. આ બાબતે કડક પગલા લેવા જરૂરી બન્યા હોવા છતાંય સ્થાનિક પીઆઇને બચાવવામાં આવી રહ્યા હોવાનો મૃતકના પરિવારજનોe આક્ષેપ કર્યો છે.

જોકે, કૃષ્ણનગર પોલીસ મથકના પી.આઈ. જે.આર.પટેલે ડાઈંગ ડિક્લેરેશન લેવાની પણ તસ્દી લીધી ન હોવાનો આક્ષેપ મૃતકના પરિવારે કર્યો છે. સમગ્ર બાબતમાં પી.આઈ.ની ગંભીર બેદરકારી બહાર આવી છે, ત્યારે વાઇરલ થયેલ વિડીયો મન વિચલિત કરી દે તેવા છે. છતાંય પોલીસના પેટનું પાણી હલ્યું નથી. મૃતક ધ્રુવરાજસિંહને 3 લોકોએ નહીં પરંતુ 7થી 8 લોકોએ ભેગા મળી માર માર્યો હોવાનું વિડીયોમાં જોઈ શકાય છે. કૃષ્ણનગર પોલીસ મથકના અધિકારીઓ અવારનવાર વિવાદમાં આવી રહ્યા છે. પરંતુ ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદથી કોઈ પગલાં લેવાતા નથી, ત્યારે મૃતકના પરિવારજનો ન્યાય માટે વલખા મારી રહ્યા છે. આ બાબત ખરેખરે ચિંતાજનક છે, ત્યારે અમદાવાદ શહેર ઝોન-4ના ડીસીપીએ જણાવ્યું હતુ કે, હાલ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 5 લોકોની તાપસ સહિત શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Latest Stories