/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/10120914/IMG-20210510-WA0000.jpg)
રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે મેડિકલ માફિયાઓ બેફામ કાળા બજારી કરી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરમાં કોરોનાની મહામારીમાં ઇન્જેક્શન બાદ ઓક્સિજનની અછત સર્જાતા હવે પૈસાના લાલચુઓએ કાળા બજારી શરૂ કરી છે. ઇન્જેક્શન બાદ ઓક્સિજનની કાળાબજારી કરનાર લોકો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે એલિસ બ્રિજ વિસ્તારમાં ડમી ગ્રાહક ઉભો કરી છટકું ગોઠવી ઓક્સિજન સિલિન્ડર અને ઓક્સી મીટરની કાળા બજારી કરનાર 2 શખ્સોની ધરપકડ કરી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે, સરખેજ વિસ્તારમાં ઓક્સિજન સિલિન્ડર અને ઓક્સી મીટરની મોટાપાયે કાળા બજારી ચાલે છે, ત્યારે સરખેજ વિસ્તારમાં આવેલ સેફટી નામના ગોડાઉનમાંથી પોલીસને 39 જેટલા સિલિન્ડર મળી આવ્યા હતા. એટલું જ નહીં, આ બન્ને આરોપીઓએ અત્યાર સુધી 200 ઓક્સિજન સિલિન્ડરનું વેચાણ પણ કરી નાખ્યું છે. ગુજરાત સેફટી અને ગુજરાત ફાયર સીસ્ટમ કંપનીમાં ઓક્સિજનના કાળા બજાર સાથે વેચાણ પણ કર્યું છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે, આ બન્ને આરોપીઓ કોઈપણ લાયસન્સ ન હોવા છતાં ઓક્સિજનનું વેચાણ કરતા હતા. હાલ પોલીસે જૈદ અસલમ ઝુદામી અને તેના પિતાની વધુ પૂછપરછ હાથ ધરી છે.
જોકે, કરાઈમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે, ડમી ગ્રાહક દુકાને જઈ અને ઓક્સિજન સિલિન્ડર અને ઓક્સી મીટર માંગતા શાહપુરની વનમાતાની પોળમાં રહેતા જસમીન બુંદેલા અને વાસણા ગુપ્તાનગરમાં રહેતા સાગર શુક્લએ 10 કિલો ઓક્સિજન સિલિન્ડરના 15,000 અને 47 કિલો ઓક્સિજનના 28,000 થશે તેમજ ઓક્સી મીટરના 5500 અને 7500 રૂપિયા ભાવ જણાવ્યો હતો, ત્યારે તાત્કાલિક ક્રાઈમની ટીમ સ્થળ પર પહોંચી કાળા બજારી કરતા બન્ને શખ્સોને ઝડપી લીધા હતા, ત્યારે પોલીસને બન્ને પાસેથી 10 કિલો અને 47 કિલોના 2 ઓક્સિજન સિલિન્ડર અને 44 જેટલા ઓક્સી મીટર મળી આવ્યા હતા. આ ઓક્સિજન સિલિન્ડર અને ઓક્સી મીટર રાખવા પરમીટ ન હોવાને લઇ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બન્નેની ધરપકડ કરી છે, જ્યારે ઓક્સિજન સિલિન્ડર અને ઓક્સી મીટર આપવામાં નામ ખુલનારા કાલુપુરના જયમીન અને રાણીપના રહેવાસી કૌશલ જાનીની પોલીસે શોધખોળ શરૂ કરી છે.