અમરેલી : રાજુલા પોલીસની અનોખી લોકસેવા, સ્થાનિકો માટે પોલીસ મથકમાં જ “પબ્લિક મોબાઈલ ચાર્જિંગ સેન્ટર” ઊભું કર્યું

New Update
અમરેલી : રાજુલા પોલીસની અનોખી લોકસેવા, સ્થાનિકો માટે પોલીસ મથકમાં જ “પબ્લિક મોબાઈલ ચાર્જિંગ સેન્ટર” ઊભું કર્યું

તાઉતે વાવાઝોડાની ઘાતક અસરને પગલે અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ સહિતના વિસ્તારોમાં જનજીવનને માઠી અસર પહોંચી છે. અનેક વીજપોલ ધરાશાયી થતા સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોને ફોન ચાર્જ કરવાની સમસ્યા ઉભી થઇ હતી, ત્યારે આવી પરિસ્થિતિમાં રાજુલા પોલીસ દ્વારા લોકોને મદદરૂપ થવા પોલીસ સ્ટેશનમાં જ “પબ્લિક મોબાઈલ ચાર્જિંગ સેન્ટર” ઊભું કરી લોકોને મોબાઈલ ફોન ચાર્જ કરવાની અનોખી સેવા પૂરી પાડવામાં આવી રહી છે.

રાજુલા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરે જણાવ્યુ હતું કે, તાઉતૈ વાવાઝોડાની પાછલી અસર સ્વરૂપે વીજળીના અભાવે ઘણા ગામડાઓમાં વીજ પુરવઠો અને પાણી પુરવઠો ખોરવાયો છે.‌ તાજેતરમાં રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાની મુલાકાત દરમ્યાન આ સમસ્યાઓ ધ્યાને આવતા તેઓએ તાત્કાલિક અસરથી ગુજરાત પોલીસ અકાદમી ખાતેથી ડીજીસેટ ફાળવ્યું હતું. જેની મદદથી આજે લોકોને વિનામૂલ્યે ફોન ચાર્જની સેવા પણ આપવામાં આવી રહી છે. જેમાં એક સાથે 20થી વધુ ફોન ચાર્જ થઇ શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

હાલ આ સેવાનો રાજુલાના શહેરીજનો મોટા પ્રમાણમાં લાભ લઇ રહ્યા છે. રાજુલા પંથકમાં છેલ્લા કેટલાય સમયથી વીજ પુરવઠો ખોરવાતા મોબાઈલ ફોન ચાર્જ ન કરી શકવાના લીધે લોકોને એકબીજાનો સંપર્ક કરવામાં ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી હતી, ત્યારે આવી પરિસ્થિતિને જોતાં લોકો પોતાના મોબાઈલ ફોન ચાર્જ કરી શકે તેવી રાજુલા પોલીસ દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેના કારણે હવે બહારગામ રહેતા કુટુંબીજનો સાથે રાજુલાના સ્થાનિકો ફરી સંપર્ક સાધી શક્યા છે, ત્યારે રાજુલા પોલીસની આ સેવા ખરા અર્થમાં પ્રસંસનીય સાબિત થઈ છે.

Latest Stories