ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઇડીસી વિસ્તારના મુખ્ય માર્ગ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય અને માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બનવા પામી છે.

ભરૂચ જિલ્લાની 5 ઔદ્યોગિક વસાહતોની એક ઔદ્યોગિક વસાહત એવા ઝઘડીયા જીઆઇડીસી વિસ્તારના મુખ્ય માર્ગો અત્યંત બિસ્માર બનવાથી વાહન ચાલકો હાલાકીનો ભોગ બની રહ્યા છે. કરોડોની આવક કરાવતી ઝઘડીયા જીઆઈડીસીમાં મોટા મોટા ઉદ્યોગોને જોડતા રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે. તેમજ કાદવ-કીચડનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે. જેથી વાહન ચાલકો તો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પરંતુ રાહદારીઓને પણ ખૂબ તકલીફનો સામનો કરવો પડે છે. ઝઘડીયા જીઆઈડીસીમાં કામ અર્થે આવતા કેટલાક વાહન ચાલકોએ પોતાના વાહનોના પાટા તૂટી જવાના તેમજ વાહનોમાં મોટું નુકસાન થવાના પણ આક્ષેપો કર્યા હતા, ત્યારે હાલ તો તંત્ર દ્વારા તાકીદે બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.