રાષ્ટ્રીયકૃત બેંકોએ ખેડુતો પાસેથી પાક ધિરાણ પર 7 ટકા વ્યાજની વસુલાત કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીએ આંદોલનના મંડાણ કર્યા છે. આ સંદર્ભમાં ભરૂચમાં પાર્ટીના કાર્યકરોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ખેડૂતોને આપવામાં આવતી પાક ધિરાણ લોન રૂ .3 લાખ સુધીની શુન્ય ટકાના વ્યાજની હોય છે. અને આ અંગે સરકારનો પરિપત્ર પણ છે.

તેમ છતાં રાષ્ટ્રીય કૃત બેંકો માં દરેક ખેડૂત પાસેથી ગયા વર્ષે 7% લેખે વ્યાજ વસૂલવામાં આવ્યું છે. જે હજુ સુધી ખેડૂતોને રિફંડ મળ્યું નથી. અમુક બેંકમાં તો 2 વર્ષથી ખેડૂતોના પૈસા ફસાયેલા છે. બેંક અધિકારીઓ પાસે ખેડુતો જાય છે ત્યારે તેમને જવાબ મળે છે કે રાજ્ય સરકાર દ્વારા બેંકોને વ્યાજની રકમ ચૂકવાઇ નથી એટલે અમે તમને આપી શકીએ નહિ. બેંકો અને સરકારના વાંકે ખેડુતોની રકમ અટવાય પડી છે.