/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/06145136/maxresdefault-78.jpg)
રાજય સરકારે ખેડુતોને સિંચાઇનું પાણી મળી રહે તે માટે કેનાલો બનાવવામાં આવી છે પણ કેનાલોનું રીપેરીંગ કરવામાં આવતું નહિ હોવાથી કયાંક પાણીનો વ્યય થઇ રહયો છે તો કયાંક કેનાલોમાં પાણી જ પહોંચતું નથી. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં કેનાલમાં પાણી જ નહિ આવતાં ખેડુતોમાં રોષ જોવા મળી રહયો છે..
વાગરામાં ખેડૂતોની હાલત પડતાં પર પાટુ જેવી થઈ છે. નહેર વિભાગનાં જાડી ચામડીના અધિકારીઓનાં પાપે ખેતીમાંપાક નષ્ટ થતાં ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે. હવે આપણે વાત કરીશું ઇકબાલભાઇની… તેમણે પોતાના પાંચ વીઘા જેટલી જમીનમાં મગની ખેતી કરી છે. તેમના ખેતરનાં બાજુમાંથી જ પસાર થાય છે પહાજ માઇનોર કેનાલની સબ પેટા કેનાલ. જેની સાફ સફાઈ અને સમારકામનાં અભાવે પાણી ખેતરમાં ઉભરાતા ખેતીને નુકશાન થઈ રહ્યું છે. છેલ્લા ચાર વર્ષ ઉપરાંતથી આ સમસ્યા છે જેનું નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી.
પહાજ માઈનોરમાંથી નીકળતી પેટા કેનાલની સાફસફાઈ કરવામાં આવતી નથી. સરકાર નહેરોની સાફસફાઇ તથા રીપેરીંગ માટે નાણાની ફાળવણી કરે છે પણ આ નાણા ચાઉ થઇ જતાં હોવાની ફરિયાદ ખેડુતો કરી રહયાં છે. પેટા નહેરમાંથી પાણી ખેતરમાં ઘૂંટણ સુધીનું ભરાઈ જાય છે. જેથી પાક નષ્ટ થવા સાથે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. નહેર વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી તેવી ધરતીપુત્રો માંગ કરી રહયાં છે.