ભરૂચ શહેરમાં પીવાના શુદ્ધ અને શીતળ જળની સુવિધા નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વોટર એટીએમ મશીન ઊભા કરવામાં આવ્યા છે. જે પૈકી આજરોજ તુલસીધામ ખાતે ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે રીબીન કાપી આરઓ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરીજનોને વિનામુલ્યે શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આજરોજ ઝાડેશ્વર પાસેના તુલસીધામ વિસ્તારમાં આરઓ વોટર એટીએમ મશીનનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શહેરના નામાંકિત વિસ્તારોમાં શુદ્ધ પેય જળની સુવિધા હેતુ આરઓ વોટરના મશીન મૂકવામાં આવ્યા છે.
નગરપાલિકા દ્વારા આધુનિક સેન્સર વાળા મશીનની ખરીદી પ્રતિ મશીન 1,45,000 રૂપિયાની કિંમતે કરવામાં આવી છે. આ મશીન થકી રાહદારીઓ, રિક્ષાચાલકો સહિતના શહેરીજનોને વિનામુલ્યે પીવાનું શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહેશે. શહેરના 10 જેટલા વિસ્તારોમાં પ્રાથમિક તબક્કે મશીનો મૂકવાની યોજના છે.
લોકાર્પણ નિમિત્તે ધારાસભ્ય સહિત ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરભિ તમાકુવાલા, ઉપપ્રમુખ ભરતભાઇ શાહ, મુખ્ય અધિકારી સંજય સોની સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.