/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/20172320/WhatsApp-Image-2021-05-20-at-3.56.07-PM-e1621511639361.jpeg)
ભરૂચ સહિત રાજયના આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ સંદર્ભમાં હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. તેઓ પોતાનું કોરોના વોરિયર્સનું બિરૂદ પરત કરી રહયાં છે. રાજ્યના 1 લાખથી વધુ આરોગ્યકર્મીઓ તેઓની પડતર 10 જેટલી માંગણીઓને લઈ ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ ગુરૂવારથી તેઓને અપાયેલું કોરોના વોરિયર્સનું બિરૂદ પરત આપી વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું છે.
સિવિલ હોસ્પિટલ, પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓએ વોરિયર્સના બિરૂદ પરત કર્યા હતા. આરોગ્ય કર્મચારીઓની કોરોનાકાળમાં કામગીરીથી પ્રભાવિત થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેઓને કોરોના વોરિયર્સનું બિરૂદ આપી સમ્માનિત કર્યા હતા. કોરોનાનું સંકટ ટળી ગયા બાદ ગુજરાતની સંવેદનશીલ સરકાર પડતર માંગણીઓનું નિરાકરણ લાવી યોગ્ય રીતે પુરસ્કૃત કરશે. એજ આશામાં આરોગ્ય વિભાગના રાજ્યના તમામ કર્મચારીઓ છેલ્લા 15 મહિનાથી દિવસ રાત જોયા વિના પોતાના જીવના જોખમે કોરોનાની કામગીરી કરી રહ્યા છે.
આરોગ્ય કર્મીઓની પડતર માંગણીઓ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગની શોષણભરી નિતીઓ નાબુદ કરવી , આઉટસોર્સિગથી ફરજ બજાવતા વર્ગ 3- 4 ના કર્મચારીઓ તેમજ નેશનલ હેલ્થ મિશન ( NHM )ના 11 માસ કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવા , વર્ગ 4 ની કાયમી ભરતી ફરી શરૂ કરવી , આશાવર્કર અને ફેસિલિટેટરને લઘુત્તમ વેતન મુજબ ફિક્સ પગાર આપવો , અપહેવ-ફિમેલ હેલ્થ વર્કરને 2800 , સ્ટાફનર્સને 4200 , ફાર્માસિસ્ટને 4600 અને લેબ ટેક્નિશિયનને 4200 ગ્રેડ પે આપવો સહિતની આરોગ્ય કર્મીઓની પડતર માંગણીઓ છે.માંગણીઓ પુર્ણ નહિ થતાં હવે આરોગ્ય કર્મચારીઓ સરકારથી નારાજ થઇ ગયાં છે. આજ પછી અગાઉની જેમ જ આરોગ્ય કર્મચારીઓને પણ સામાન્ય કર્મચારી જ ગણવાની માંગ સાથે તેઓ તેમનું કોરોના વોરિયર્સનું બિરૂદ પરત કરી રહયાં છે.