• ભરૂચ-નર્મદા જિલ્લાના રાજકારણમાં ગરમાવો

  • ધારાસભ્ય ડો.દર્શના દેશમુખના મનસુખ વસાવા પર આક્ષેપ

  • સાંસદ મનસુખ વસાવાએ પ્રેસ કોન્ફરન્સ કરી આક્ષેપ ફગાવ્યા

  • ધારાસભ્યએ મારી વાતનું ખોટું અર્થઘટન કર્યું:સાંસદ

  • રાજકીય ક્ષેત્રે ગરમાવો

ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ સામસામે આવી ગયા છે.દર્શના દેશમુખે કરેલા આક્ષેપો બાદ મનસુખ વસાવાએ આજરોજ પ્રેસ કોન્ફરન્સ કરી તેઓ ખોટું અર્થઘટન કરી ખોટા લોકોને બચાવવાના પ્રયત્નો કરતા હોય એવું નિવેદન આપતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે
ભરૂચમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ વચ્ચેનો વિવાદ ખુલ્લેઆમ સામે આવ્યો છે. આ મામલે સાંસદ મનસુખ વસાવાએ ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સ યોજી ડો. દર્શના દેશમુખના આક્ષેપોને નકાર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે ડો. દર્શના દેશમુખે ખોટા આક્ષેપો કરીને પોતાના પગ પર કુહાડો માર્યો છે.સાંસદે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરમાં નર્મદા જિલ્લામાં થયેલા બે મોટા કાર્યક્રમના ખર્ચ બાબતે નર્મદા જિલ્લાના એક ઉચ્ચ અધિકારી સામે આપ નેતાએ 75 લાખ રૂપિયાની તોડ કર્યાના મામલે  પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં આપના નેતાઓ ખુલ્લા પડે તે માટે મેં અવાજ ઉઠાવ્યો હતો પરંતુ તેનું ડો. દર્શના દેશમુખે ખોટુ અર્થઘટન કર્યું છે. આ તરફ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે મારા પર ખોટા અક્ષેપો કરી ડોક્ટર દર્શના દેશમુખ કોઈને બચાવવાના પ્રયત્નો કરતા હોય એવું લાગી રહ્યું છે. ડોક્ટર દર્શના દેશમુખને ધારાસભ્ય બનાવવામાં મારો મોટો ફાળો રહ્યો છે પરંતુ હવે તેઓ ખોટા લોકોથી ઘેરાઈ ગયા છે માટે આ પ્રકારના નિવેદનો કરતા હોવાનું મનસુખ વસાવાએ જણાવ્યું હતું.આ સાથે મનસુખ વસાવાએ જાહેરમાં સ્વીકાર્યું કે ચૈતર વસાવા તેમના ભાણેજ છે, પરંતુ બંનેની વિચારધારા અલગ હોવાનું જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના કમલમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ અને આપના નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા,જેમાં ડો.દર્શન દેશમુખે સાંસદના વિવાદાસ્પદ નિવેદનનું ખંડન કરીને તેમની સામે માનહાનીનો દાવો કોર્ટમાં કરવાની ચીમકી ઉચ્ચારી હતી.ભાજપના જ બન્ને નેતાના સામ સામે નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.