ભરૂચની સરકારી ઇજનેરી કોલેજનાં અધ્યાપકોના વિવિધ પડતર પ્રશ્નોનું આંદોલનના એક અઠવાડીયા ઉપરાંતનો સમય વીતી જવા છતાં કોઈપણ જાતનો નિકાલ નહીં કરવામાં આવતા રોષ ફેલાઈ જવા પામ્યો છે.
ઉચ્ચ પગાર ધોરણનો લાભ ટેકનીકલ અધ્યાપકો સિવાય તમામને આપવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે છેલ્લા એક અઠવાડીયાથી વિવિધ પડતર પ્રશ્નોને લઈ ભરૂચની સરકારી ઇજનેરી કોલેજનાં અધ્યાપકો આંદોલન કરી રહ્યા છે.ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગના નિયમ મુજબ જ સ્વ-વિનંતી બદલીની માંગ પણ ધ્યાને નથી લેવાતી.અધ્યાપકોને શિક્ષણ સિવાયનાં બીજા ઘણા બિન શૈક્ષણિક કામો ઉપરાંત કામનું ભરણ વધતા માનસિક ત્રાસ વેઠવાનો વારો આવ્યો છે.લાંબા સમયથી પડતર પ્રશ્નોની અનેક સ્તરે રજૂઆત થઈ હોવા છતાં આજ દિન સુધી કોઈ જ સંતોષકારક ઉકેલ આવી રહ્યો નથી શિક્ષક દિનથી શરૂ થનાર આંદોલન માત્ર સચિવના આશ્વાસન પર જ મુલતવી રહ્યું હતું. તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા 16 ઓક્ટોબર 2023થી ઇજનેરી કોલેજના અધ્યાપકો આંદોલનના માર્ગે ઊભા થયા છે.ત્યારે વહેલી તકે યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
