ચૂંટણી જંગના અંતિમ તબક્કામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય આગેવાનો ભરૂચ બેઠક પર પ્રચાર માટે ઉતર્યા છે, ત્યારે દિલ્હી સરકારમાં આમ આદમી પાર્ટીના કેબિનેટ મંત્રી ગોપાલ રાયએ ભરૂચ જિલ્લાના 2 દિવસના પ્રવાસ દરમ્યાન ચૈતર વસાવાના સમર્થનમાં પ્રચાર કરવા સાથે ભાજપ પર શાબ્દિક પ્રહાર કરી ભાજપની કરણી અને કથનીમાં ફેર હોવાનું કહી પરિવર્તનની હવા વહેતી થઈ હોવાનો દાવો કર્યો હતો. ગોપાલ રાયએ ભરૂચ બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના પ્રચાર માટે 2 દિવસ ભરૂચ સંસદીય વિસ્તારમાં છે.
તેઓએ વિવિધ સ્થળે રેલી તેમજ સભામાં ઉપસ્થિત રહી ચૈતર વસાવા માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. ભાજપ પર શાબ્દિક પ્રહારો કરતા ગોપાલ રાયએ ભાજપની 400 પારની વાતને ટાંકીને બંધારણ બદલવા માટે આ સૂત્ર હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપ ભલે તે ના કહે પણ ભાજપની કરણી અને કથનીમાં ફેર છે. ઇલેક્શન કમિશન પર પણ ભાજપે કબજો કર્યાનો ગોપાલ રાયએ આક્ષેપ કર્યો હતો. ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ તેઓના હરીફ ઉમેદવાર અને સાંસદ મનસુખ વસાવા અને અમિત શાહની તેઓ અંગેની ટિપ્પણી બાબતે નિવેદન આપી ભાજપ પર પ્રહાર કર્યા હતા.
ચૈતર વસાવાએ જણાવ્યુ હતું કે, સાંસદ મનસુખ વસાવાએ મારા પર ટીપ્પણી કરવા કરતા પહેલા તેઓએ 30 વર્ષમાં શું કામ કર્યું છે, પહેલા તેનો લોકોને હિસાબ આપે. ગૃહમંત્રી અમિત શાહના અર્બન નક્સલીના નિવેદન અંગે પણ ચૈતર વસાવાએ જણાવ્યુ હતું કે, તેનાથી આદિવાસી સમાજના લોકોમાં રોષ છે, જે ચૂંટણીમાં દેખાશે.