ભરૂચની જુનીવાડી વિસ્તારમાં પેટ્રોલથી એક વ્યક્તિને જીવતો સળગાવી દેવાના મામલામાં દાઝી ગયેલ વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નિપજતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ શહેરના આલી વિસ્તારમાં રહેતા 21 વર્ષીય કિશન કાલુભાઈ વસાવા પોતાના ઘરમાં સૂઈ રહ્યો હતો તે દરમિયાન બુકાનીધારી ઈસમે યુવાનના ઘરમાં પ્રવેશ કરી પેટ્રોલ ભરેલ થેલી મારી સળગતો દીવો નાખી તેને જીવતો સળગાવી દીધો હતો.આગની લપેટમાં આવી થયેલ કિશન વસાવાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજ્યુ છે ત્યારે બી ડિવિઝન પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે આ મામલામાં આરોપી દીલીપ સોલંકીની ધરપકડ પણ કરી હતી.આરોપી લગ્ન માટે કન્યા શોધવા અગાઉ ભરૂચ આવ્યો હતો દરમ્યાન કિશન વસાવા અને અન્ય લોકોએ ભેગા મળી તેને યુવતી બતાવી હતી અને રૂપિયા લઈ તેના લગ્ન કરાવી આપ્યા હતા.એક મહિના સુધી દિલીપ સોલંકી અને તેની પત્ની જામનગર ખાતે સાથે રહ્યા હતા બાદમાં તેની પત્ની ત્યાંથી જતી રહી હતી અને પરત આવી ન હતી. આથી દિલીપે લગ્ન કરાવનાર લોકો પાસે રૂપિયા પરત માંગ્યા હતા પરંતુ તે ન આપતા તેણે બદલો લેવા કિશન વસાવાને જીવતો સળગાવી દીધો હોવાનું બહાર આવ્યું હતું.