/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/07144916/maxresdefault-79.jpg)
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકા સ્થિત શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયા બાદ વધારાનું પાણી નદી મારફતે દરિયામાં વહી જાય છે, ત્યારે આ પાણીને ડેમની ડાબી-જમણી કેનાલોમાં વાળી 3 તાલુકાના ચેકડેમો અને તળાવો ભરી ખેડૂતોના હિતમાં હિતલક્ષી ઉમદા નિણૅય લેવામાં આવ્યો છે.
છેલ્લા 5 વર્ષ બાદ ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સારા વરસાદની ફલશ્રુતિએ ઓવરફ્લો થયો છે. એક પખવાડિયાના ટૂંકા સમયગાળામાં 4થી વધુ વખત ડેમના તમામ 59 જેટલા દરવાજાઓ પાણીની ભારે આવકના કારણે ખોલવા પડ્યાં હતા. ગત 2જી સપ્ટેમ્બરથી શેત્રુંજી નદીમાં વહી દરિયામાં ભળી જતું હતું. પરંતુ ભાવનગરના રાજ્ય કક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકી તથા સાંસદ ભારતી શિયાળે રાજ્યના પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરી હતી કે, ડેમના દરવાજા વાટે વહી જતાં પાણીને ડેમની ડાબી-જમણી કેનાલોમાં છોડવામાં આવે, જેથી વરસાદની અછત ધરાવતા ગામડાઓને પાણીનો લાભ મળી શકે. ગામડાઓમાં આવેલ ખાલી પડેલાં ખેત તલાવડાઓ, ચેક ડેમો અને બોરીબંધો સહિતના પાણી સંગ્રહ સ્થાનોમાં કેનાલનું પાણી ભરાવાથી ખેડૂતોને ચોમાસા બાદ પણ ફાયદો થશે તેમ છે, ત્યારે રજૂઆતને પાણી પુરવઠા વિભાગના મંત્રીએ માન્ય રાખતાં છેલ્લા 3 દિવસથી બન્ને કેનાલોમાં વધારાનું પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં જમણાં કાંઠાની કેનાલ હેઠળ આવતાં ગામડાઓમાં ચોમાસાના પ્રારંભથી જ સારો વરસાદ પડ્યો હોવાથી કેનાલના વધારાના પાણીની હાલ આવશ્કતા ન હોવાથી ખેડૂતોએ જમણાં કાંઠાની કેનાલમાં પાણી બંધ કરવા રજૂઆત કરી હતી. આથી ડેમ સત્તા તંત્રએ જમણી કેનાલમાં પાણી છોડવાનું બંધ કર્યું છે, જયારે ડાબા કાંઠાની કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જમણી કેનાલમાં 2 દિવસ દરમ્યાન 125 કયૂસેક પાણી છોડવામાં આવ્યું હતું, જયારે ડાબા કાંઠાની કેનાલમાં 100 કયૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેનો લાભ 40 જેટલા ગામને થઈ રહ્યો હોવાથી ડેમમાં જયાં સુધી પાણીની આવક શરૂ રહેશે, ત્યાં સુધી ડાબી કેનાલમાં પાણી છોડવામાં આવશે. સરકાર અને વહીવટી તંત્રના આ નિણૅય થકી ભવિષ્યમાં ખેડૂતો તથા પયૉવરણને બહુવીદ લાભો ચોક્કસ થશે તેવું જણાઈ રહ્યું છે.