ભાવનગર: રાજ્યમંત્રી વિભાવરીબેન દવે દ્વારા વિકાસ સપ્તાહના ચોથા દિવસે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી વિભાવરીબેન દવે દ્વારા જાહેર કાર્યક્રમોમાં સન્માન અર્થે આપવામા આવતા બુકેના બદલે બુક લેવાની અનોખી પહેલ શરૂ કરવામા આવી હતી. જેની પાછળ બુક એકઠી થયા બાદ તેને સરકારી શાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અર્પણ કરી મદદરૂપ થવાનો ઉમદા આશય સમાયેલો છે.
શહેરની એ.વી.સ્કૂલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ગાંધીનગરથી ઓનલાઈન ઉપસ્થિત રહ્યાં હતા અને જણાવ્યું હતું કે કાર્યક્રમમાં આપવામાં આવતા બુકે થોડા સમય પછી કચરામાં ફેંકી દેવાતા ત્યારે નોટ બુકે બટ નોટબુકનો વિચાર આવ્યો. જે આજે અનેક જરૂરિયાતમંદ બાળકોને મદદરૂપ થઇ રહ્યો છે.પુસ્તકો, યુનિફોર્મ જેવી સુવિધાઓ સરકાર તરફથી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે ત્યારે આ પહેલ થકી બાળકોને નોટબુક પણ વિનામૂલ્યે ઉપલબ્ધ બની છે.કાર્યક્રમમાં રાજ્યમંત્રીશ્રી દ્વારા એકત્રિત થયેલ નોટબુક સરકારી શાળાના ૨૮ આચાર્યોને પ્રતીક રૂપે અર્પણ કરાઈ હતી જેનો લાભ ૯ હજારથી વધુ વિદ્યાર્થીઓને મળશે.
મુખ્યમંત્રી દ્વારા ભાવનગરને આપવામાં આવેલ વિશ્વના પ્રથમ CNG પોર્ટ થકી ભાવનગરના વિકાસને ગતિ મળશે તેમ તેમણે આ પ્રસંગે ઉમેર્યું હતું. આ પ્રસંગે મેયર મનહરભાઈ મોરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ તથા શિક્ષણ સમિતિ ચેરમેન હાજર રહ્યા હતા.