ભાવનગર : નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ મેદાન માર્યું, ચાલું વર્ષે 65% વિદ્યાર્થીઓ ક્વોલિફાઇ

New Update
ભાવનગર : નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ મેદાન માર્યું, ચાલું વર્ષે 65% વિદ્યાર્થીઓ ક્વોલિફાઇ

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ- ૮માં અભ્યાસ કરતાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. ભારત સરકારની આ યોજનાનું ગુજરાત રાજ્યમાં અમલીકરણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવેલ છે. જેમાં વર્ષઃ ૨૦૨૦ માં ભાવનગર જિલ્લાનાં ૭,૫૩૧ નોંધાયેલ વિદ્યાર્થીઓ પૈકી ૭,૨૯૧ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જે પૈકી ૪,૮૯૮ વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયેલ છે અને ૨૧૮ વિદ્યાર્થીઓ મેરીટમાં સ્થાન મેળવવામાં સફળતા મેળવી આગવી સિધ્ધિ નોંધાવતાં મેદાન માર્યું છે.

ભાવનગરમાં ચાલું વર્ષે રાજ્યના કુલ ૫,૦૯૭ ના ક્વોટામાં ૫,૦૯૦ વિદ્યાર્થીઓએ મેરિટમાં સ્થાન મેળવેલ છે. જેમાં માત્ર ભાવનગર જિલ્લાના જ ૬૫ ટકાથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પાસ કરવામાં સફળતા મેળવી છે અને ૨૧૮ વિદ્યાર્થીઓ મેરીટમાં સ્થાન મેળવવામાં સફળ થયાં છે. અત્રે ઉલ્લેખનીય છે કેસરકારી શાળામાં અભ્યાસ કરતા આર્થિક રીતે સંપન્ન ન હોય તેવા અને મેરિટમાં સ્થાન પામેલા તેજસ્વી બાળકોને આ પરીક્ષા પાસ કર્યેથી દર વર્ષે રૂ.૧૨,૦૦૦ ની રકમ શિષ્યવૃત્તિ તરીકે આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે ખૂબ અગત્યની એવી આ પરીક્ષાનો હેતુ પ્રતિભાવાન બાળકોને ઓળખ કરવાનો છે. આ પસંદ થયેલાં વિદ્યાર્થીઓને તેમના પોતાના અભ્યાસ સાથે રાજ્ય સરકાર રૂા. ૧૨ હજારની સહાય ૪ વર્ષ સુધી આપવામાં આવે છે. આમ૪ વર્ષમાં એક વિદ્યાર્થીને રૂા. ૪૮ હજારની શિષ્યવૃત્તિની રકમ આપવામાં આવે છે. જેના દ્વારા તેમની પ્રતિભાને નિખારીને તેમનું પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવામાં મદદ મળે છે. દેશ લેવલે યોજાતી આ પરીક્ષામાં પહેલાં ભાવનગરમાં બહુ વિદ્યાર્થીઓ પાસ થતાં ન હતાં. આ અંગેની જાણ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણ બરનવાલને થતાં તેઓએ આ માટે રસ લઇને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના સહકારથી આ બાબતે શું કરી શકાય તેના મનોમંથનમાંથી પરીક્ષામાં ક્વોલિફાય થયેલ હોય પરંતુ મેરીટમાં સ્થાન મેળવેલ ન હોય તેવા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે અને તેમજ આગળના અભ્યાસ માટે બાળકોના ઉત્સાહમાં વધારો થાય એ હેતુસર વધુ અભ્યાસ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે બજેટમાં રૂા. ૭ લાખની ખાસ રીતે જોગવાઇ પણ કરવામાં આવી હતી.

આ અંગે ભાવનગરના નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મીતાબેન દૂધરેજીયાએ જણાવ્યું હતું કેજિલ્લા પંચાયત હેઠળની ૯૩૧ શાળાઓમાં શિક્ષકો દ્વારા શાળાના ઓનલાઇન ક્લાસ બાદ ઓનલાઇન અને રૂબરૂ જઇને પણ રવિવાર તથા જાહેર રજાઓના દિવસોમાં વિશેષ ક્લાસ લઇને વિદ્યાર્થીઓને આ પરીક્ષા માટેની તૈયારીઓ કરાવવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી વરૂણ બરનવાલના સહકારથી ભાવનગર જિલ્લા પંચાયતના અંદાજ પત્રમાં એક આગવી પહેલ શરૂ કરી શિક્ષણ ક્ષેત્રે અટલ બિહારી વાજપાઇ શિષ્યવૃત્તિ યોજના’ હેઠળ જોગવાઇ કરી નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા-૨૦૧૯માં જિલ્લાનાં ૨૧૧માં મેરીટ પછીના ક્રમે ક્વોલિફાય થયેલ ૨૧૭ વિદ્યાર્થીને વાર્ષિક રૂ.૨,૪૦૦ અને ત્યાર પછીના ૭૫૬ વિદ્યાર્થીઓને વન ટાઇમ લેખે રૂ.૧૦૦ ની આર્થિક મદદ જિલ્લા પંચાયતના સ્વ-ભંડોળમાંથી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ બધાને કારણે વિદ્યાર્થીઓની પ્રતિભા નિખરી હતી. રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરી દવેના હસ્તે યશવંતરાય નાટ્યગૃહમાં કાર્યક્રમ યોજી શિષ્યવૃત્તિ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. સને ૨૦૧૯-૨૦માં ભાવનગર જિલ્લામાં થયેલાં આ કાર્યની નોંધ લઇને રાજ્યનાં તમામ ક્વોલિફાયઇંગ વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવાં ભાવનગર જિલ્લામાં થયેલ કાર્યને ધ્યાને લઇ સચિવરાજ્ય પરીક્ષા બોર્ડગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં ભાવનગર જિલ્લામાં થયેલ કાર્યનું અનુસરણ કરવાં પરિપત્ર કરવામાં આવ્યો છે. આમશિક્ષણ ક્ષેત્રની નેત્રદીપક કામગીરીને આધારે હવે સમગ્ર રાજ્યમાં તે પ્રમાણેની તૈયારીઓ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કેઆ વર્ષે આ પરીક્ષામાં નોંધાયેલ ૧,૪૧,૧૦૩ વિદ્યાર્થીઓ પૈકી ૧,૩૩,૩૦૮ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને તે પૈકી ૭૭,૩૬૮ વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયાં છે. મર્યાદિત ક્વોટાનાં કારણે પરીક્ષામાં ક્વોલિફાય થયેલ ૭૭,૩૬૮ વિદ્યાર્થીઓ પૈકી ૫,૦૯૦ વિદ્યાર્થીઓને મેરિટમાં સ્થાન મળ્યું છે. સરકારી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ માટે આ પરીક્ષામાં ઉત્તિર્ણ થવું તે પણ એક સિદ્ધિ માનવામાં આવે છે. તેજસ્વી બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે થોડી આર્થિક સહાય આપવામાં આવે તો આગળના અભ્યાસ માટે ઉત્સાહમાં વધારો થઇ શકે છે. જિલ્લા તાલુકા અને ક્લસ્ટર કક્ષાએ દાતાઓની મદદથી અથવા જિલ્લા પંચાયતના અંદાજપત્રમાં જોગવાઈ કરી ક્વોલિફાય થયેલ વિદ્યાર્થીઓને આર્થિક સહાય સિવાય શૈક્ષણિક કીટ વગેરે આપીને પ્રોત્સાહિત કરી શકાય રાજ્ય કક્ષાએથી ક્વોલિફાય થયેલ તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવાનું પણ રાજ્ય શિક્ષણ બોર્ડની વિચારણાં હેઠળ છે.