ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વાવાઝોડાના અસરગ્રસ્તોની મુલાકાતે, જુઓ કોણ કયાં ગયું

New Update
ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વાવાઝોડાના અસરગ્રસ્તોની મુલાકાતે, જુઓ કોણ કયાં ગયું

તાઉતે વાવાઝોડાએ ગીરસોમનાથ, ભાવનગર, અમરેલી અને જુનાગઢમાં ભારે તાબાહી વેરી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ લોકોની સમસ્યાઓ જાણી રહયાં છે...


ગત સપ્તાહે અરબી સમુદ્રમાંથી તાઉતે વાવાઝોડુ ઉનાના દરિયાકિનારે ટકરાયું હતું. લગભગ 170 કીમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાયેલા પવનોએ ગીરસોમનાથ, અમરેલી, જુનાગઢ અને ભાવનગર જિલ્લામાં ભારે વિનાશ વેર્યો હતો. ખાસ કરીને ખેડુતો અને માછીમારોને વાવાઝોડાએ પાયમાલ કરી નાંખ્યાં છે. ભારે પવનોથી કેરી સહિતના પાકને તેમજ માછીમારોની બોટોને નુકશાન થયું છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા વેરાવળ તથા અન્ય અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયાં હતાં જયાં તેમણે માછીમાર સમુદાયની આજીવિકાના એક માત્ર સાધન એવી ફિશિંગ બોટને થયેલ પારાવાર નુકસાન અને બોટોના માલિકને રૂબરું મળીને વ્યથા સાંભળી હતી. તેમની સાથે  ધારાસભ્ય ઋત્વિક મકવાણા,  નૌસાદ સોલંકી, વિમલ ચુડાસમા, રાજુ ગોહિલ સહિત આગેવાનો જોડાયાં હતાં.


બીજી તરફ કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવીયા ભાવનગર જિલ્લાની મુલાકાતે આવ્યાં છે. તેમણે પણ વાવાઝોડા બાદ થયેલા નુકશાન, જાનહાનિ, માછીમારોના વિવિધ પ્રશ્ને વાતચીત કરી હતી. તેમણે પાલીતાણા, સિહોર, તળાજા સહિતના તાલુકાના આગેવાનો અને લોકોને મળી પરિસ્થિતિ નો તાગ મેળવ્યો હતો. તળાજાના ઠાડચ ગામે વાવાઝોડાના કારણે યુવાનનું મોત થતાં કેન્દ્રીય મંત્રીએ પરિવારને સાંત્વના આપી હતી. અસરગ્રસ્તોને સરકાર તરફથી શકય તમામ મદદની ખાતરી મનસુખ માંડવીયાએ આપી હતી.

Latest Stories