ભાવનગર : ઘોઘા પંથકમાં ભૂ-માફિયાઓનો ત્રાસ, વહીવટી તંત્રને ખેડૂતોની રજૂઆત...
ઘોઘા તાલુકાના પીપરલા ગામ ખાતે ભૂમાફિયાઓ દ્વારા ખોટા દસ્તાવેજ ઊભા કરી જમીન હડપી લેવાની કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના પીપરલા ગામ ખાતે ભૂમાફિયાઓ દ્વારા ખોટા દસ્તાવેજ ઊભા કરી જમીન હડપી લેવાની કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે.
ભાવનગરમાં ભૂતકાળમાં પણ ભૂમાફિયાઓ વિરુદ્ધ રજૂઆતો થવા પામી છે, ત્યારે ઘોઘા પંથકના પીપળીયા ગામમાં 200 વિધા જેટલી જમીનમાં ખોટા દસ્તાવેજો કરી જમીન પચાવી પાડવાની ઘટના સામે આવી છે. જેમાં ફરિયાદી દ્વારા અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં કોઈ ન્યાય નહીં મળતા સમગ્ર મામલો જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યો છે. આ જમીન પર મોટા ખોખરા ગામના લોકોએ ક્યારેય ખેતી કરી નથી. આ જમીન પર પીપરલા ગામના ખેડૂતો જ ગણોતિયા તરીકે પાક વાવતા હતા. તેમ છતાં ખોટી રીતે ભૂમાફિયાઓ વેચાણ દસ્તાવેજથી ખરીદી લીધેલ અને ખોટી વસ્તુને સાચી બતાવી જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી લેન્ડ ગ્રેબિંગ કાયદાનો અને સરકારી તંત્રનો ખોટો ઉપયોગ કરી પીપરલા ગામના ખેડૂતો પર ખોટા કેસ કરી હેરાન પરેશાન કરતા હોવાનો આક્ષેપ થયો છે. જેના અનુસંધાને પીપરલા ગામના ખેડૂતો કલેકટર કચેરી ખાતે રજૂઆત કરી હતી.
જોકે, આ જમીન પર અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાય છે. તેમજ ભાવનગર નામદાર કોર્ટમાં પણ કેસ કરવામાં આવ્યો છે, ત્યારે પીપરલા ગામના આ પરિવારો ન્યાય માંગવા માટે ભાવનગર એડિશનલ કલેક્ટર એન.ડી.ગોવાણીને લેખિત આવેદન આપ્યું હતું. જેને લઈને એડિશનલ કલેક્ટરે આ મામલે તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.