દેશમાં 5.32 લાખ કરોડના વિકાસના પ્રોજેક્ટ અટવાયા, તેમાં 80 ટકા સરકારી:રિપોર્ટ

New Update
દેશમાં 5.32 લાખ કરોડના વિકાસના પ્રોજેક્ટ અટવાયા, તેમાં 80 ટકા સરકારી:રિપોર્ટ

દેશમાં 5.32 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ કોઈ નક્કર કારણ વગર અટવાયેલા છે. જેમાં મુંબઈ-વડોદરા એક્સપ્રેસ વે જેવા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પણ સામેલ છે. ખાસ વાત એ છે કે પ્રોજેક્ટ અટકાવવાના મામલે સરકાર પ્રાઈવેટ સેક્ટર કરતાં ઘણી આગળ છે. અટવાયેલા પ્રોજેક્ટમાંથી 80% અથવા રૂ. 4.31 લાખ કરોડના પ્રોજેક્ટ સરકારી છે.

સીએમઆઈઆઈના જણાવ્યા અનુસાર ફાઈનલ પ્રોજેક્ટની સંખ્યા સૌથી વધુ છે, પરંતુ તેને પૂર્ણ કરવા માટે જે ઉત્સાહ દાખવવો જોઈએ તે દેખાતો નથી. કંપનીઓ તેમજ સરકારી એજન્સીઓ વગર કારણે પ્રોજેક્ટ પર કામ બંધ કરે છે. રિપોર્ટ મુજબ માર્ચ-23 સુધી 2.15 લાખ કરોડ રૂપિયાના રોકાણ બાદ 676 પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે. પરંતુ માર્ચ 23 સુધી કુલ 7.2 લાખ કરોડ રૂપિયાના 1,278 પ્રોજેક્ટ પૂરા થવાના હતા, જે નથી થઈ શક્યા. રોકાણના આધારે જોઈએ તો માત્ર 30 ટકા પ્રોજેક્ટ જ પૂર્ણ થયા છે.

હાઈવે બનાવવાની બાબતમાં સરકાર પોતાનું લક્ષ્ય હાંસલ કરવામાં નિષ્ફળ રહી છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2023-24માં 3,567 કિમી રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ કરાયું હતું. આ લક્ષ્યાંક કરતાં ઘણું ઓછું છે. 2021-22માં કુલ 12,000 કિમીના રાષ્ટ્રીય ધોરીમાર્ગો બનાવવાનું લક્ષ્ય નક્કી કરાયું હતું. 2022-23માં તે વધારીને 13,800 કિમી કરાયું હતું. તેની સરખામણીમાં 2020-21 દરમિયાન કુલ 13,327 કિલોમીટર લાંબા હાઇવે બનાવવામાં આવ્યા હતા. સીએમઆઈઈ અનુસાર, વર્ષ 2023-24માં 10,490 કિમી હાઇવે બનાવવામાં આવશે. તે 2022-23 કરતાં માત્ર 1.5% વધુ હશે. આ સમગ્ર વર્ષ માટેના લક્ષ્યાંક કરતાં ઘણું ઓછું હશે.