એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ PF ખાતાધારકના ડેથ ક્લેમના નિયમોને સરળ બનાવી દીધા છે. નિયમોમાં ફેરફારને કારણે હવે PF ખાતાધારકના નોમિનીને સરળતાથી પૈસા મળી જશે. EPFOએ આ જાણકારી આપતા એક પરિપત્ર બહાર પાડ્યો છે. હવે નવા નિયમ મુજબ, જો કોઈ પીએફ ખાતાધારકનું મૃત્યુ થાય છે અને તેનું પીએફ ખાતું આધાર સાથે લિંક નથી થયું અથવા આધાર કાર્ડમાં આપવામાં આવેલી માહિતી પીએફ ખાતા સાથે આપવામાં આવેલી માહિતી સાથે મેળ ખાતી નથી, તો પણ તે ખાતાધારકના પૈસા તેના નોમિનીને ચૂકવી દેવામાં આવશે.
નોમિનીને પૈસા મેળવવામાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને EPFOએ મૃત્યુના દાવા સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. નિયમોમાં ફેરફાર પહેલા, જો આધારની વિગતોમાં કોઈ ભૂલ હોય અથવા ટેક્નિકલ સમસ્યાને કારણે આધાર નંબર નિષ્ક્રિય થઈ ગયો હોય તો ડેથ ક્લેમ લેવામાં મુશ્કેલી પડતી હતી. અધિકારીઓએ મૃત સભ્યની આધાર વિગતોને મેચ કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડતા હતા. જેના કારણે ક્લેમ મેળવવામાં ઘણો સમય લાગતો હતો અને નોમિનીને ઘણી દોડધામ કરવી પડી હતી.