Connect Gujarat
બિઝનેસ

આજથી દેશમાં થઇ રહ્યાં છે આ 5 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર તેની કેવી થશે અસર

આજથી જૂન મહિનો શરૂ થયો છે અને દર મહિનાની જેમ આ મહિનો પણ ઘણા મોટા ફેરફારો લઈને આવ્યો છે.

આજથી દેશમાં થઇ રહ્યાં છે આ 5 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર તેની કેવી થશે અસર
X

આજથી જૂન મહિનો શરૂ થયો છે અને દર મહિનાની જેમ આ મહિનો પણ ઘણા મોટા ફેરફારો લઈને આવ્યો છે. 1લી જૂન 2023થી લાગુ થનારા આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસ પર પડશે. તો ચાલો આવા પાંચ મોટા ફેરફારો જોઈએ.

1. એલપીજી સિલિન્ડર થયું સસ્તું

સરકારી તેલ-ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે રાંધણ ગેસના ભાવમાં ફેરફાર કરે છે. 1લી જૂને એટલે કે આજથી દિલ્હીમાં ફરી એકવાર કોમર્શિયલ સિલિન્ડર 83.5 રૂપિયા સસ્તું કરવામાં આવ્યું છે. એપ્રિલ અને મેની પહેલી તારીખે 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. 1 મે 2023ના રોજ કોમર્શિયલ સિલિન્ડર લગભગ 172 રૂપિયા સસ્તું થયું હતું. લેટેસ્ટ કટ બાદ હવે તે દિલ્હીમાં 1773 રૂપિયા થઈ ગયો છે. આ તરફ તે ચેન્નાઈમાં 1937 રૂપિયા, કોલકાતામાં 1875.50 રૂપિયા અને મુંબઈમાં 1725 રૂપિયા પર આવી ગયો છે. જોકે આ વખતે પણ 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

2. ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવામાં વધુ ખર્ચ થશે

દેશમાં 1 જૂનથી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવું મોંઘું થઈ ગયું છે. એટલે કે ઇલેક્ટ્રિક બાઇક કે સ્કૂટર ખરીદવા માટે તમારે વધુ ખિસ્સા ઢીલા કરવા પડશે. 21 મે, 2023ના રોજ જાહેર કરાયેલ સૂચના અનુસાર ભારે ઉદ્યોગ મંત્રાલયે FAME-II સબસિડીની રકમમાં ફેરફાર કર્યો છે અને તેને ઘટાડીને 10,000 રૂપિયા પ્રતિ kWh કર્યો છે. અગાઉ આ રકમ 15,000 રૂપિયા પ્રતિ kWh હતી. આ કારણે મોટા ભાગના ઈલેક્ટ્રિક વાહનો 25,000 રૂપિયાથી લઈને 35,000 રૂપિયા સુધી મોંઘા થઈ શકે છે.

3. બેનામી બેંક થાપણો અંગે ઝુંબેશ

આજથી 1 જૂનથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દેશની બેંકોમાં જમા કરાયેલા દાવા વગરની રકમના સેટિંગ અંગે ઝુંબેશ શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાનનું નામ '100 દિવસ 100 પે' રાખવામાં આવ્યું છે. સેન્ટ્રલ બેંકે આ અંગે બેંકોને પહેલાથી જ જાણ કરી દીધી છે. આ ઝુંબેશ હેઠળ 100 દિવસમાં 100 દાવા વગરની રકમની પતાવટ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

4. ફાર્મા કંપનીઓને લગતો નવો નિયમ

વાસ્તવમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ કફ સિરપના નમૂનાઓનું પરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે. 1 જૂનથી નિકાસ કરતા પહેલા સીરપનું ટેસ્ટીંગ કરાવવું જરૂરી બન્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ એક સત્તાવાર નોટિસમાં જણાવ્યું છે કે, કફ સિરપના નિકાસકારોએ પહેલી તારીખથી પ્રોડક્ટની નિકાસ કરતા પહેલા સરકારી લેબોરેટરી દ્વારા જાહેર કરાયેલ વિશ્લેષણનું પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે. જો યોગ્ય જણાય તો જ નિકાસ થશે.

5. 2000ની નોટ બદલવા પર 12 દિવસનો બ્રેક

RBIની બેંક હોલીડે લિસ્ટ અનુસાર જૂન મહિનામાં 12 દિવસ સુધી બેંકોમાં કોઈ કામ નહીં થાય. આ દિવસોમાં બેંક શાખાઓમાં 2000 રૂપિયાની નોટ બદલવાની પ્રક્રિયા પર બ્રેક લાગી જશે. મહત્વનું છે કે, દેશના અલગ-અલગ રાજ્યોમાં આયોજિત થનારા કાર્યક્રમો અને તહેવારોના અવસર પર બેંકોમાં રજાઓ એક રાજ્યથી બીજા રાજ્યમાં અલગ-અલગ હોઈ શકે છે.

Next Story