• અંકલેશ્વરના સજોદ ગામનો બનાવ

  • ગામની સીમમાં કેનાલ ઓવરફ્લો

  • ઉકાઈ જમણા કાંઠા કેનાલ ઓવરફ્લો થઈ

  • 5 ખેડૂતોના ખેતરમાં વ્યાપક નુકશાન

  • સમસ્યાના નિરાકરણની ખેડૂતોની માંગ

અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની સીમમાંથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની  કેનાલ ઓવરફ્લો થતા આસપાસના પાંચ જેટલા ખેતરોમાં પાણી ભરાય જતા ઉભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે.
અંકલેશ્વરના સજોદ ગામની સીમમાંથી ઉકાઈ જમણા કાંઠાની નહેર પસાર થાય છે.આ કેનાલની આસપાસ સજોદના ગામના ખેડૂતોએ શેરડીનું વાવેતર કર્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી કેનાલમાં પાણી આવતા ઓવરફ્લો થતા આસપાસના ખેતરોમાં પાણી ભરાય જાય છે.ખેડૂતોએ આ સમસ્યા અંગે નહેરવિભાગમાં  મૌખિક જાણ કરી હતી જો કે આજદિન સુધી સમસ્યાનું નિરાકાણ આવ્યું નથી.
હાલમાં કેનાલ ઓવરફ્લો થતા પાંચ જેટલા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાય ગયા છે.એક તરફ શેરડીનું કટિંગ થવાનું હોય ત્યાંજ પાણી ભરાય જવાના કારણે શેરડીનું કટીંગ થઇ શકશે નહીં. સજોદના ખેડૂત યશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે કેનાલની બાજુમાં  આવેલ ખેતરમાં હાલમાં જ ઘઉંનું વાવતેર કર્યું છે.આ ખેતરમાં પોણા ભાગમાં કેનાલના પાણી ભરાય જવાના કારણે ઘઉંનું વાવેતર નિષ્ફળ ગયું છે. 
ગામના અન્ય ખેડૂત જયંતિ કટારીયાના ખેતરમાં શેરડીના ઉભા પાકમાં પાણી ફરી વળ્યું છે.શેરડી કટિંગની તૈયારી હતી તેવામાં કેનાલના પાણી ભરાય જતા કટિંગ પાછું ઠેલાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.નહેર વિભાગ ખેડૂતોની આ સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવે એવી માંગ ઉઠી રહી છે.