ડાંગ : આહવા ખાતે કોવિડ-19 અંગે યોજાઈ સમીક્ષા બેઠક, મંત્રી રમણલાલ પાટકરે આપ્યું ઉપયોગી માર્ગદર્શન

New Update
ડાંગ : આહવા ખાતે કોવિડ-19 અંગે યોજાઈ સમીક્ષા બેઠક, મંત્રી રમણલાલ પાટકરે આપ્યું ઉપયોગી માર્ગદર્શન

કોરોના સંક્રમણના વધતા પ્રભાવ વચ્ચે રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના પ્રજાજનોને ઓક્સીજન સહિતની જરૂરી સાધન, સુવિધાઓ ઘરઆંગણે જ પ્રાપ્ત થાય તે માટે પ્રભારી મંત્રી રમણલાલ પાટકરે ડાંગ જિલ્લાને ઓક્સિજનની જરૂરિયાત માટે સ્વનિર્ભર બનાવવાના હેતુસર સત્વરે અહિયા ઓક્સીજન પ્લાન્ટ કાર્યરત થાય તે દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.

ડાંગ ખાતે ઉચ્ચસ્તરીય બેઠકને સંબોધતા રાજ્ય વન, અને આદિજાતિ કલ્યાણ મંત્રી રમણલાલ પાટકરે કોરોનાના વિશ્વવ્યાપી સંકટને ખાળવા માટે રાજ્ય સરકાર રાતદિવસ સંવેદનશીલ નિર્ણયો લઈને પ્રજાજનોની જરૂરિયાતો પૂરી કરી રહી છે તેમ જણાવ્યુ હતું. ડાંગ જિલ્લામાં એકમાત્ર સરકારી સિવિલ હોસ્પિટલ સિવાય અન્ય કોઈ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ ન હોઈ, અહી ઓક્સીજન સપ્લાય, રેમેડીસીવીર ઇન્જેક્શન સહીત વેન્ટીલેટર, બેડ સહિતની આવશ્યક સાધન સેવા બાબતે જરૂર સમયે ડાંગના ધારાસભ્યના ફંડમાંથી પણ ખર્ચ કરી શકાશે તેમ જણાવ્યુ હતું.

કોરોના સંકટમાંથી હેમખેમ બહાર આવવા માટે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, સાથે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ પરસ્પર સહયોગ અને સંકલન સાથે ચોક્કસ રણનીતિ ઘડવી પડશે તેમ જણાવી મંત્રી પાટકરે, ડાંગ જિલ્લાના ગામે ગામ શરદી, ખાંસી, તાવ જેવા પ્રારંભિક લક્ષણો ધરાવતા દર્દીઓની યાદી તૈયાર કરવા માટે સ્થાનિક કક્ષાએ ગ્રામ પંચાયતના સરપંચો, તલાટીઓ, અને જે તે વિસ્તારના તાલુકા/જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોની ટીમે ઘરે ઘરે ફરીને આવી યાદી તૈયાર કરવી જોઈએ તેમ જણાવ્યુ હતું. ત્યાર બાદ આવા દર્દીઓને સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ટીમ દ્વારા રુટ બનાવી ઘરે ઘર સુધી જઈને આરોગ્યલક્ષી પ્રાથમિક સારવાર આપવાની પદ્ધતિ અમલી બનાવવાનુ સૂચન કર્યું હતું.

જેનાથી ગ્રામ્યસ્તરે જ આવા દર્દીઓને સારવાર ઉપલબ્ધ થતા સિવિલ હોસ્પિટલો ઉપરનું ભારણ ઘટશે. સાથોસાથ પરંપરાગત આયુર્વેદિક પદ્ધતિ અનુસારની સારવાર પણ પ્રજાજનોને મળી રહે, અને તેમની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આયુષ મંત્રાલયે સુચવેલા અમૃતપેય ઉકાળા અને શમશમની વટીના મોટાપાયે વિતરણ ઉપર ભાર મુકતા પ્રભારી મંત્રી રમણલાલ પાટકરે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં યોજાતા શુભ/અશુભ પ્રસંગો વેળા કોરોના પ્રોટોકોલ જળવાઈ તે ખુબ જ જરૂરી છે તેમ જણાવી, ગ્રામ્ય વિસ્તારોમાં આ બાબતે વધુ જાગૃતિ કેળવાય તે જરૂરી છે તેમ જણાવ્યુ હતું.

Latest Stories