ભરૂચ : ગાયત્રી મંદિર-ઝાડેશ્વર ખાતે 26મા નર્મદા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે...
16 ફેબ્રુઆરીના રોજ માઁ નર્મદાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર ખાતે કરવામાં આવનાર છે
ઝાડેશ્વર વિસ્તાર સ્થિત વિશ્વ ગાયત્રી મંદિર દ્વારા આયોજન
26મા નર્મદા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન
કથા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું
મહાઆરતી, દર્શન સહિત ભંડારા સહિતના કાર્યક્રમો યોજાશે
ધર્મપ્રેમી જનતાને લ્હાવો લેવા મંદિર સંચાલકો દ્વારા આમંત્રણ
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત વિશ્વ ગાયત્રી મંદિર ખાતે 26મા નર્મદા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ધર્મપ્રેમી જનતાને કથા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમનો લ્હાવો લેવા મંદિર સંચાલકો દ્વારા આમંત્રણ પાઠવાયું છે.
1008 મહામંડલેશ્વર સ્વામી અલખગિરિ મહારાજનો સંકલ્પ હતો કે, માઁ ભગવતી નર્મદાના શુદ્ધ અને પવિત્ર જળ સમસ્ત ગુજરાતના ઘરે ઘરે તથા ખેતરે ખેતરે પહોંચી સમગ્ર મનુષ્ય, પશુ, પક્ષી,વૃક્ષ તથા જીવજંતુઓ પાણી વિના તરસ્યા ન રહે તથા ગુજરાતની પ્રજા આબાદ બને ગુજરાત સમગ્ર વિશ્વમાં સ્વર્ગ બને તેવા મહાસંકલ્પને લઈ ઝાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદા જયંતિ માઁ નર્મદાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી આગામી તા. 16 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે તારીખ 8થી 16 ફેબ્રુઆરી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે,
ત્યારે તા. 8 ફેબ્રુઆરીએ બપોરે 3 કલાકે ગાયત્રી મહાપુરાણ કથા નિમિત્તે મંદિર પરિષદમાંથી શોભાયાત્રા નીકળી સમગ્ર ઝાડેશ્વર ગામમાં પરિભ્રમણ કરી પરત મંદિરે પહોંચશે અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ થશે. આ સાથે જ તા. 16 ફેબ્રુઆરીના રોજ માઁ નર્મદાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર ખાતે કરવામાં આવનાર છે, ત્યારે સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને નર્મદા જયંતિ કાર્યક્રમ દરમિયાન કથા સહિતના તમામ ધાર્મિક કાર્યક્રમનો લ્હાવો લેવા મંદિર સંચાલકો દ્વારા આમંત્રણ પાઠવાયું છે.