ભરૂચ અને અંકલેશ્વર સહિત જિલ્લામાં અંગારકી ચોથની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી.વિવિધ ગણેશ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આજરોજ મંગળવાર અને ચતુર્થીનો સુભગ સમન્વય... અંગારકી ચોથ. અંકલેશ્વરના પ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે ભક્તોએ વિઘ્નહર્તા શ્રી ગણેશના દર્શન કર્યા હતા.
હાંસોટ રોડ પર આવેલ ક્ષીપ્રા ગણેશ મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું પ્રતીક છે.અહીં જમણી સૂંઢ વાળા ગણપતિ બિરાજમાન છે, સાથે જ આ ગણેશજીને તુરંત જ ફળ આપનાર માનવામાં આવે છે ત્યારે ભક્તો દુંદાળાદેવની આરાધનામાં લીન બન્યા હતા..
ભરૂચના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.અંગારકી ચોથ નિમિત્તે સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રથમ પૂજાતા દેવની આરાધના કરી હતી. દર્શનાર્થીઓની સવારથી જ ભીડ જોવા મળી હતી અને તેઓએ ભગવાન વિઘ્નહર્તા સમક્ષ પ્રાર્થના કરી હતી.