આપણો ભારત દેશમાં અને ખાસ કરીને હિંદુ ધર્મમા ઘણા બધા વાર–તહેવારો અનેક તિથીઓનું ઘણું મહત્વ રહેલું છે.
હિન્દુ કેલેન્ડર મુજબ અગિયારસ ઘણી બધી આવે છે. તેમાં પણ નિર્જળા એકાદશી કરવાથી અન્ય બધી જ અગિયારસ કરવાનું ફળ મળે છે. આવનારી 19એ જેઠ સુદ અગિયારસને સોમવારના રોજ નિર્જળા એકાદશી તરીકે મનાવવામાં આવશે. આ એકાદશી કરવાથી વર્ષભરની તમામ એકાદશી કરવાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આ શુભ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરીને ભગવાન વિષ્ણુને સારા જીવનની કામના કરવામાં આવે છે.
એક પ્રચલિત કથા પ્રમાણે પાંચ પાંડવ પૈકી ભીમે એકાદશી વ્રતના સંબંધમાં વેદવ્યાસજીને પ્રશ્ન કર્યો કે હું એક દિવસ નહીં પણ એક સમય માટે પણ ભૂખો ના રહી શકું. તેથી વર્ષમાં આવતી 24 એકાદશીનું પુણ્ય કઈ રીતે મેળવી શકું? ત્યારે વેદવ્યાસે જેઠ મહિનાની સુદ પક્ષની નિર્જળા એકાદશી વિશે જણાવ્યું ભીમે આ એકાદશીએ વ્રત કર્યું હતું, જેના કારણે આ એકાદશીને "ભીમસેની એકાદશી" પણ કહેવામાં આવે છે. આ દિવસે પાણી પીધા વિના વ્રત કરવામાં આવે છે. સવાર-સાંજ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. અને બીજા દિવસે બારસ તિથિએ પૂજા-પાઠ અને બ્રાહ્મણને ભોજન કરાવીને સ્વયં ભોજન કરવામાં આવે છે . આ દિવસે વહેલી સવારે નાહી ધોઈને સૂર્ય દેવને જળ અર્પણ કરી ભગવાન વિષ્ણુ ની પુજા આરતી કરવી. પીળા ફૂલ, પંચામૃત અને તુલસી દળ વડે પુજા કરવું. શ્રીહરિ અને માતા લક્ષ્મીના મંત્રોના જપ કરવા. આ એકાદશીને દિવસે ગાયોની સેવા કરવાનું વિશેષ મહત્વ રહેલું છે.