મરાઠી અને હિન્દી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા જયંત સાવરકરનું સોમવારે સવારે વય સંબંધિત બિમારીઓને કારણે હોસ્પિટલમાં નિધન થયું હતું. અભિનેતાએ 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. જયંત સાવરકરના પુત્ર કૌસ્તુભ સાવરકરે પિતાના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે.
જયંત સાવરકરે લગભગ છ દાયકા સુધી મરાઠી અને હિન્દી ફિલ્મો તેમજ થિયેટર અને ટેલિવિઝન જેવા ક્ષેત્રોમાં અભિનય કર્યો. તેમની લોકપ્રિય ફિલ્મોમાં 'હરિ ઓમ વિઠ્ઠલ', 'ગડબ઼ડ ગોંધલ', '66 સદાશિવ' અને 'બકાલ', 'યુગપુરુષ', 'વાસ્તવ' અને 'સિંઘમ' વગેરેનો સમાવેશ થાય છે.
કૌસ્તુભે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, 'લગભગ 10-15 દિવસ પહેલા તેમને લો બ્લડ પ્રેશરને કારણે થાણેની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે રાત્રે અચાનક તેમની તબિયત લથડતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. વૃદ્ધાવસ્થા સંબંધિત બિમારીઓને કારણે સવારે લગભગ 11 વાગ્યે તેમનું અવસાન થયું. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને બે પુત્રી છે. તેમના અંતિમ સંસ્કાર મંગળવારે કરવામાં આવશે.
તેમણે મરાઠી અને હિન્દી સિનેમામાં ઘણી શાનદાર ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આ સિવાય તેણે ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું હતું. તેઓ થિયેટરની દુનિયામાં એક સેલિબ્રિટી પણ હતા. તેમના જવાથી સિને જગત માટે મોટી ખોટ છે.