ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલ કોસ્ટલ વિસ્તારમાં મધરાતે અચાનક ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. રાત્રે આશરે 2:24 વાગ્યે થયેલા આ ઝટકાથી લોકો ઊંઘમાંથી જાગી બહાર નીકળી આવ્યા હતા.
વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઈ હતી, જે મધ્યમ સ્તરની ગણાય છે, છતાં તેની અસર અનેક વિસ્તારોમાં અનુભવાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવાનજીક નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે.આ આંચકાનો પ્રભાવ રાજુલા, જાફરાબાદ, પીપાવાવ સહિત કોસ્ટલ બેલ્ટના વિસ્તારોમાં જોવા મળ્યો હતો. ઉપરાંત ખાંભા અને સાવરકુંડલા સુધી પણ ઝટકાનો અહેસાસ થયો હતો.ખાસ કરીને રાજુલા શહેરમાં કેટલાક મકાનોમાં નાની તિરાડો પડ્યાના અહેવાલો મળ્યા છે. કેટલીક જગ્યાએ ભૂકંપના ક્ષણોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જમીન હલતી દેખાય છે અને લોકો ગભરાઈને બહાર નીકળતા જોવા મળે છે. હાલ સુધી કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી, જે રાહતની વાત છે. છતાં, સ્થાનિક પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોમાં સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
