-
અંદરગોટા અને ઓઝર તાળ ફળિયા પ્રાથમિક શાળાનો મામલો
-
છેલ્લા 4 મહિનાથી ધો-6,7,8ના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડ્યો
-
શાળામાં શિક્ષક હાજર ન રહેતા વિદ્યાર્થીઓનું ભણતર અટકી ગયું
-
વાલીઓ સહિત ગ્રામજનોમાં બેજવાબદાર શિક્ષકો વિરુદ્ધ રોષ
-
શિક્ષણ વિભાગે બન્ને શિક્ષકોને નોટિસ ફટકારી : પ્રા.શિ.અધિકારી
વલસાડ તાલુકાના અંદરગોટા ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું ભણતર અંધકારમ્ય બન્યું છે. છેલ્લા 4 મહિનાથી ધોરણ 6, 7 અને 8માં સંસ્કૃત અને ગુજરાતી ભણાવતા શિક્ષક શાળામાં હાજર ન રહેતા વિદ્યાર્થીઓનું ભણતર અટકી ગયું છે. જેના પગલે વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો છે.
વલસાડ તાલુકાના અંદરગોટા ગામ ખાતે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત અંદરગોટા પ્રાથમિક શાળામાં ધોરણ 6, 7 અને 8માં સંસ્કૃત અને ગુજરાતી વિષય ભણાવતા શિક્ષક ભાર્ગવકુમાર પંડ્યા છેલ્લા 4 મહિનાથી શાળામાં હાજર ન રહેતા વિદ્યાર્થીઓનું ભણતર અટકી ગયું છે. ગામના સરપંચ તથા વાલીઓ દ્વારા શાળામાં આ અંગે પૂછપરછ કરતા શિક્ષક ભાર્ગવકુમાર પંડ્યાએ વ્હોટ્સએપ પર જાણ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
આ સાથે જ તેઓ ફરજ પર પરત ક્યારે હાજર થશે તે અંગે કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી, અને કપાત પગારની મજૂરીની માંગ ગત તા. 21 ઓગષ્ટ 2024ના રોજ વ્હોટ્સએપના માધ્યમથી જ કરવામાં આવી હતી. તો બીજી તરફ, છેલ્લા 4 મહિનાથી શિક્ષક ફરજ પર હાજર ન રહેતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે, જેને લઈ વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે.
વલસાડ તાલુકાના અંદરગોટા ગામની પ્રાથમિક શાળા ખાતે છેલ્લા 4 મહિનાથી શિક્ષક હાજર થયા નથી. ગામના સરપંચ તથા વાલીઓને શિક્ષક હાજર ન રહેવાની જાણ થતાં સમગ્ર મામલે તપાસ કરાવતા શિક્ષક વિદેશ જતા રહ્યા હોવાની વિગતો સામે આવી છે. જેથી ગામના સરપંચ અને વાલીઓ દ્વારા અન્ય શિક્ષકની માંગ કરવામાં આવી હતી. ગામના સરપંચ અને વાલીઓ દ્વારા શિક્ષણ વિભાગને સમગ્ર મામલે લેખિત ફરિયાદ કરી શિક્ષક ભાર્ગવકુમાર પંડ્યાની જગ્યા ઉપર અન્ય શિક્ષકને મુકવા માટે રજુઆત કરવામાં આવી હતી.
તેમ છતાં છેલ્લા 4 મહિનાથી શાળામાં અન્ય શિક્ષકની નિમણૂક ન કરવામાં આવતા વાલીઓ તથા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીનું નવું સેમિસ્ટર આવતા ગુજરાત અને સંસ્કૃત વિષયમાં અભ્યાસ નબળો બન્યો છે, જેને લઈ વાલીઓ હવે પોતાના વિદ્યાર્થીઓને અન્ય શાળામાં મુકવા માટે મજબૂર બન્યા હોવાનું બહાર આવ્યું છે.
વલસાડ જિલ્લાની અંડરગોટા પ્રાથમિક શાળાના શિક્ષક ભાર્ગવ પંડ્યા અને ઓઝર તાળ ફળિયા પ્રાથમિક શાળાની શિક્ષિકા દ્રષ્ટિ જોષી છેલ્લા 4 મહિનાથી બિનઅધિકૃત રજા ઉપર છે, ત્યારે આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા બન્ને શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે. આ સાથે જ અન્ય શિક્ષકોની વ્યવસ્થા કરાઈ હોવાનું પણ પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યુ હતું.