હૈદરાબાદમાં પોલીસે સંધ્યા થિયેટર ભાગદોડ કેસમાં અભિનેતા અલ્લુ અર્જુનને નવી નોટિસ પાઠવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નોટિસમાં અલ્લુ અર્જુનને ઘટનાના સંબંધમાં આજે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
ઘટના પછી પોલીસે અભિનેતા, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. આ કેસ પછી અભિનેતાની 13 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તે જ દિવસે તેને તેલંગણા હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતા. આ પછી 14 ડિસેમ્બરે સવારે તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.
રવિવારે સાંજે પ્રદર્શનકારીઓ દ્વારા અભિનેતાના હૈદરાબાદના ઘરે તોડફોડ કરવામાં આવી હતી. ઉસ્માનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોવાનો દાવો કરતા લોકોનું એક જૂથ અભિનેતાના ઘરની બહાર એકત્ર થયું અને પીડિત પરિવારને 1 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી હતી. તેઓએ અભિનેતાના ઘર પર ટામેટાં ફેંક્યા અને સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું.